મહેસાણા: ઉદલપુર હાઇવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૪ના મોત
અટલ સમાચાર,મહેસાણા
ઉત્તર ગુજરાતમાં થતા માર્ગ અકસ્માતોમાં આજે વધુ એક ગંભીર ઘટના નોંધાઇ છે. મહેસાણાના ઉદલપુર હાઇવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા ૪ વ્યકિતઓના ઘટના સ્થળે જ મોત થયા છે. જયારે એક વ્યકિતની હાલત ગંભીર હોવાથી તેને મહેસાણા સિવિલ ખાતે ખસેડાયા છે. રાવળ સમાજનો પરિવાર માણસાથી પરત ફરી રહયો હતો ત્યારે પાછળથી કાર ચાલકે ટકકર મારતા ગમખ્વાર અકસ્માત બન્યો છે.
મૂળ બેચરાજીના દેલવાડા ગામનો રાવળ પરિવાર સામાજીક કામ પતાવી માણસાથી પરત આવી રહયો હતો. આ દરમ્યાન મંગળવારે પ વાગ્યાના સુમારે મહેસાણાના ઉદલપુર હાઇવે પર રીક્ષા લઇ પસાર થતા હતા. જયા પાછળથી આવતી ડસ્ટર ગાડીના ચાલકે જોરદાર ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાવળ હીરાભાઇ સોમાભાઇ(ઉ.૪૫),રાવળ નવિનભાઇ અમૃતભાઇ(ઉ.ર૮), રાવળ કનુભાઇ રાજુભાઇ(ઉ.૧3) અને રાવળ કિશન જગદિશભાઇ (ઉ.૧૬)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતુ. આ સાથે અન્ય એક વ્યકિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તરફ અકસ્માત કરનાર કારચાલક ફરાર થઇ ગયો હતો. વિસનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.