મહેસાણા: પ્રદૂષણથી ગામલોકોને બચાવવા ક્લેક્ટર નિષ્ફળ ગયાનો ઘટસ્ફોટ
અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા તાલુકાના ખેરવા ગામે છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણ સામે ગામલોકો લડી રહયા છે. સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થતી હોઇ ક્લેક્ટરને રજૂઆત કરી હતી. જોકે, પેપરમિલ ઘ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ અટકાવવા ક્લેક્ટર એચ.કે.પટેલ નિષ્ફળ ગયા હોવાની પ્રતિતિ કરાવતા શબ્દો સામે આવ્યા છે. ગામલોકોએ અગાઉ બબ્બે વાર કરેલી રજૂઆત સામે કોઇ નિરાકરણ નહિં આવતા 7 દિવસની મુદ્દત આપી દીધી છે.
મહેસાણાથી ગોઝારીયા જતા વચ્ચે આવતા ખેરવા ગામે પ્રદૂષણનો હાહાકાર મચી ગયો હોવાનું સામે આવ્યુ છે. મહેસાણા નજીક જગુદણ રોડ પર આવેલી નિલકંઠ પેપરમિલ ભયંકર વાયુ પ્રદૂષણ ફેલાવતી હોવાની રજૂઆત થઇ છે. મિલના પ્રદૂષણથી ગામલોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. મહેસાણા ક્લેક્ટરને અગાઉ 8 માર્ચ 2019 અને બીજીવાર 10 મે 2019ના રોજ પ્રદૂષણથી બચાવવાની રજૂઆત થઇ હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બે વખતની રજૂઆતને અંતે કોઇ સંતોષકારક કાર્યવાહી કરવામાં નથી આવી તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરી ફરી એકવાર મોટી સંખ્યામાં મહેસાણા ક્લેક્ટર કચેરી દોડી આવ્યા હતા. નાના બાળકો, વૃધ્ધો, સગર્ભા બહેનો સહિતના વાયુ પ્રદૂષણથી ત્રાહીમામ પોકારી ગયા હોઇ ગામલોકોએ ક્લેક્ટરને 7 દિવસની મુદ્દત આપી છે. જેમાં ગંભીરતા દાખવી યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો આગામી સમયમાં ધરણા-પ્રદર્શન, ઉપવાસ અને જરૂર પડે તો ઉગ્ર કાર્યક્રમો આપવાની તૈયારી રાખવામાં આવી છે.