મહેસાણા: ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં ભરતજી ઠાકોરની ગેરહાજરીથી તર્ક-વિતર્ક
અટલ સમાચાર,મહેસાણા
શનિવારે મહેસાણાના ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું પરિવાર સંમેલન યોજાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણી ઉપસ્થિત રહયા હતા. જોકે આ સંમેલનને લઇ મહેસાણા જીલ્લા સહિત ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે કેમ કે, આ સંમેલનમાં અલ્પેશ ઠાકોરના ખાસ અને બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરની સુચક ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.
મહેસાણાના ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું પરિવાર સંમેલન યોજાયુ હતુ. જેમાં સમાજના અગ્રણી ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્ય બળદેવજી ઠાકોર, રાજેન્દ્રસિંહ ઠાકોર, ચંદનજી ઠાકોર, ગેનીબેન ઠાકોર તથા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનમાં મહત્વની વાત એ હતી કે, વાવથી ગેનીબેન ઠાકોર, કલોલથી બળદેવજી ઠાકોર જો હાજર રહયા હોય તો બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર કેમ નહી ? સુત્રો તરફથી મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોરના ઇશારે ભરતજી ઠાકોર આ સંમેલનમાં ભાગ લેવા આવ્યા નહોતા. ભરત ઠાકોરની સુચક ગેરહાજરીથી આગામી સમયમાં તેઓ અલ્પેશ અને ધવલસિંહની સાથે કેસરિયો ખેસ ધારણ કરે તો નવાઇ નહી!