મોડાસા: ડૉ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા સેમિનાર, માર્ગદર્શન અપાયું
અટલ સમાચાર, મોડાસા
ડૉ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા લોકોમાં સરકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવા માટે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ ગૌતમભાઇ ગેડિયા, મેનેજિંગ ડિરેક્ટર આર.એન.કુચારા, સમાજ કલ્યાણ અધિકારી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રેવાભાઇ, મોડાસા નગરપાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ, પશુપાલન આરોગ્ય શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં સરકાર દ્વારા અંત્યોદયમાં સમાવિષ્ટ જ્ઞાતિઓ માટેની સરકારની યોજનાઓની વિગતો પૂરી પાડવામાં આવી હતી. કઈ યોજના હેઠળ કઈ રીતે ફોર્મ ઓનલાઇન ભરી શકાય તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેનું ઓનલાઇન ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું.
નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડિયાએ વચેટિયાઓને નાબૂદ કરી સરકારી યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળે તે માટેનો પ્રયત્ન કરવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું. હવેથી પોર્ટલ મારફતે મોબાઈલથી જ ફોર્મ ભરી શકાશે અને સબમીટ પણ કરી શકાશે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.