મોડાસા: સિધ્ધપુરના સંઘને અકસ્માત નડ્યો, એકનું કમકમાટી ભર્યું મોત
અટલ સમાચાર, મોડાસા
મહેસાણા જીલ્લાના સિદ્ધપુર તાલુકાના તાલેગઢ ગામથી છેલ્લા 5 વર્ષથી યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાના દર્શને પગપાળા સંઘ પહોંચે છે. તાલેગઢ ખાતેથી ત્રીજના દિવસે 95 પદયાત્રીઓ સાથે નીકળેલા સંઘને મોડાસા તાલુકાના ફરેડી ગામ નજીક અકસ્માત નડ્યો હતો.
શામળાજી-ગોધરા હાઈવે પરથી પસાર થઈ રહેલા પદયાત્રા સંઘના પદયાત્રીને પાછળથી કાર ચાલકે પાછળથી ટક્કર મારતા 55 વર્ષીય પદયાત્રીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી ગયો હતો. અકસ્માતના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સિદ્ધપુર તાલુકાના તાલેગઢ ગામેથી યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ત્રીજના દિવસે 95 પદયાત્રીઓ સાથે નીકળેલો સંઘ મોડાસા તાલુકાના ફરેડી ગામ નજીકથી ભક્તિભાવ પૂર્વક પસાર થઈ રહ્યો હતો. મોડાસા તરફથી માલપુર તરફ જતી કારના ચાલકે કાર પુરઝડપે ગફલતભરી રીતે હંકારી સુરસંગસિંહ કચરાજી ઠાકોરને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા પદયાત્રીઓમાં ભારે આક્રંદ છવાયું હતું.
અકસ્માતના પગલે આજુબાજુમાંથી દોડી આવેલા ગામલોકોએ પદયાત્રીઓને શાંત્વના આપી મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિક જામને પૂર્વરત કરાવ્યો હતો. મોડાસા રૂરલ પોલીસે મણાજી પુંજાજી ઠાકોરની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.