આંદોલન@ગાંધીનગરઃ ગણ્યાં ગાંઠ્યાં વિદ્યાર્થીઓ રહેતા કોગ્રેસના નેતાઓ ગુમ
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાના મુદ્દે પરીક્ષા રદ કરવાની માંગણી સાથે યુવાનોનું જન આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનમાં પ્રથમ બે દિવસ હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગાંધીનગરમાં જોવા મળ્યા હતા. આ પરીક્ષાર્થીઓની સંખ્યા જોઈને કૉંગ્રેસ અને એન.સી.પીના નેતાઓ અને પબ્લિક સ્પીકર સંજય રાવલ પણ ધસી આવ્યા હતા. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને પાસના પૂર્વ નેતા હાર્દિક પટેલ, નિખીલ સવાણી સહીત અનેક નેતાઓ ગાંધીનગર દોડી આવ્યા અને આંદોલનને સમર્થન કર્યુ હતું. જોકે, આજે ચોથા દિવસે આંદોલનમાં ગણ્યા ગાંઠ્યા અને મુખ્યત્વે એન.એસ.યુ.આઈના કાર્યકરોજ બચ્યા હોવાથી ગાંધીનગરમાંથી કૉંગ્રેસના નેતાઓ રફુચક્કર થઈ ગયા હતા.
ચોથા દિવસે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓના આંદોલન સ્થળે ચકલા ઉડ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો. જોકે, આ મામલે NSUI મેદાને છે. કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખે આજે આ ગેરરિતીના વિરોધમાં રાજ્ય વ્યાપી શાળા કૉલેજોનું બંધનું એલાન આપ્યું છે. ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે ગણ્યા ગાઠ્યા પરીક્ષાર્થીઓ બચ્યા હતા. આ પાંખી હાજરી જોતા કૉંગ્રેસના નેતાઓ ગાયબ થઈ ગયા હતા. પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના કૉંગ્રેસી નેતાઓ ધરણા સ્થળે પાંખી હાજરી જોઈને ફરક્યા સુધ્ધા નહોતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજકોટ શહેરમાં આજે બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન અપાયુ છે. શહેરના નિર્મલા રોડ પર આવેલ કાંતિલાલ શેઠ ફિજીયોથેરાપી કૉલેજ બંધ કરાવવા NSUIના કાર્યકરો પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા કરી રહ્યા છે, હવે યુથ કોંગ્રેસ NSUI આવ્યું મેદાને, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ કોલેજો બંધ કરવામાં આવી.
સરકારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસની રચના કરી છે. આ સીટ 10 દિવસમાં તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરશે. સીટની રચનાની જાહેરાત થતા જ આંદોલનની પહેલ કરનાર શિક્ષક અને કર્મશીલ યુવરાજસિંહ જાડેજા યુયુત્સે વીડિયોના માધ્યમથી પરીક્ષાર્થીઓને આંદોલન આડકતરી રીતે સમાપ્ત કરી દેવાની જાહેરાત કરી હતી. જોકે, આ ઘટના બાદ ધરણા પર બેસેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં કૉંગ્રેસ આવી હતી.