પાલિકા@ખેડબ્રહ્મા: ગંદકીના ઢગમાં વરસાદનું પાણી મિશ્રિત, રોગચાળો થશે ?
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
ખેડબ્રહ્મા શહેરમાં મેધરાજાની પધરામણી થતાં જ રહીશો ખુશ થઇ રહયા છે. જોકે, પાલિકા ઘ્વારા ગંદકીના ઢગ દૂર નહી કરતા વરસાદનું પાણી મિશ્રિત થાય તેમ છે. જેનાથી શહેરીજનો માટે રોગચાળાનો ભય ઉભો થયો છે. ઇન્ચાર્જ ચીફ ઓફીસર પાલિકાને પુરતો સમય ન આપી શકતા હોવાથી અનેક બાબતો સામે આંખ મીચામણાં થઇ રહયા છે.
ખેડબ્રહ્મા નગરપાલિકા અનેક વિસ્તારોમાં ચોમાસા દરમ્યાન ગંદકીના ઢગ ઉઠાવી શકતી નથી ? અપુરતી મશીનરી કે સ્ટાફનો અભાવ ? કેટલાક વોર્ડ સામે ઓરમાયું વર્તન કે બેદરકારી ? સહિતના સવાલો ગંદકીના ઢગલામાં વરસાદનું પાણી મિશ્રિત થવાથી ઉભા થયા છે. ગંદકીમાં પાણી ભળી જતા સ્થાનિકોમાં રોગચાળાનો ભય ઉભો થયો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચોમાસા દરમ્યાન દૈનિક ધોરણે સાફ-સફાઇ કરવા સાથે નાગરિકો અને પાલિકાએ કચરાના ઢગ તુરંત ઉઠાવી લેવા આવશ્યક છે. જો કચરાના ઢગમાં વરસાદનું પાણી મિશ્રિત થાય તો ગંદકીમાં વધારો અને છેવટે રોગચાળાની સંભાવના બને છે. શહેરમાં અનેક સ્થળોએ વરસાદ વચ્ચે ગંદકીના ઢગ જોવા મળતા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફીસર સામે અપેક્ષા વધી છે.
નાગરિકોમાં ચર્ચા છે કે, ઇન્ચાર્જ ચીફ ઓફીસર પુરતો સમય ન આપી શકતા હોય તો કાયમી અને ખંતીલા અધિકારી મુકી શહેરીજનોને વિવિધ સેવાઓ સમયાનુસાર મળી રહે તેવી લોકમાંગ ઉઠી છે.