રહસ્ય@અમીરગઢ: પોલીસ પર હુમલો કરનાર યુવકની લાશ મળતા ચકચાર
અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)
બનાસકાંઠા જીલ્લામાં બે દિવસ અગાઉ વહેલી સવારે પોલીસ પર ફાયરીંગની ઘટના સામે આવી હતી. જેમાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને બે આરોપીઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. બુધવારે અમીરગઢ નજીકથી એક લાશ મળી આવી હતી. સ્થાનિકોના મતે તે લાશ ભાગેડુ જાહેર કરાયેલ આરોપીઓમાંથી કોઇ એક ની છે.
અમીરગઢ નજીકથી એક ઇસમની લાશ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ અર્થે મોકલી આપી છે. પોલીસે લાશની તપાસ કરતા તેના ખીસ્સામાંથી ભારતીય સેનાનું આઇકાર્ડ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોલીસને યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં મળી હોવાથી આત્મહત્યા કે હત્યા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર સોમવારે પોલીસ તપાસ દરમિયાન અજાણ્યા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા છે. કાળા રંગની ક્રેટા કાર ઉભી રાખી હતી. તેમાંથી ચાર શખ્સોએ અંધાધૂંધ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પંજાબ પાસિંગની કાળા રંગની ક્રેટા રાજસ્થાન તરફ જઇ રહી હતી. જેનો નંબર PB.06.AU.7109 છે.