દુર્ઘટના@મહારાષ્ટ્ર: 22 ફૂટ ઊંચી ગણેશજીની મૂર્તિ પડી, 2 લોકોનાં મોત, 5 ઘાયલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાષ્ટ્રના મુંબઈમાં બાયકુલાથી ભુલેશ્વર લાવવામાં આવી રહેલી 22 ફૂટ ઊંચી ગણેશજીની મૂર્તિ મંડપથી લગભગ 50 મીટર પહેલા પડી ગઈ. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા. પાંચ લોકો ઘાયલ છે.
આ દુર્ઘટના 22 ઓગસ્ટની રાત્રે લગભગ 9:51 વાગ્યે બલરામ મર્ચન્ટ રોડ, જય અંબે ચોક પાસે થઈ. પ્રાથમિક તપાસમાં રસ્તા પર કોઈ મોટો ખાડો જોવા મળ્યો નથી. પ્રતિમાનું સંતુલન બગડવું એ દુર્ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મૃત્યુ પામેલા બંને પુરુષો, ઘાયલોમાં બે બાળકો પણ
મૃતકોની ઓળખ સંકેત નેવશે (33) અને બ્રિજેશ હેમંત જોશી (30) તરીકે થઈ છે. ઘાયલોમાં વૈભવ ઘેનંદ (38), પવન ચૌરસિયા (25), લાવણ્યા ગનેર (5), દિવ્યા ગનેર (7) અને કુણાલ કાશિદ (26)નો સમાવેશ થાય છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
મુંબઈમાં લગભગ 10 હજારથી વધુ ગણેશ પંડાલ
મહારાષ્ટ્રમાં આ વર્ષે ગણેશોત્સવ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. મુંબઈમાં લગભગ 10,600 સાર્વજનિક ગણેશ મંડળો છે, પરંતુ લગભગ 2,500 મંડળોએ 10 દિવસના ઉત્સવ માટે પરવાનગી લીધી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ 28 લાખ ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત થવાનો અંદાજ છે.
મુંબઈમાં પંડાલની પરવાનગી માટે ઓનલાઈન સિંગલ-વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આમાં BMC સાથે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની NOC પણ ઓનલાઈન મળી શકશે. અરજીઓ 13 સપ્ટેમ્બર સુધી કરી શકાશે.
આ વર્ષે મુંબઈના મોટા મંડળોએ અલગ-અલગ થીમની તૈયારી કરી છે. અંધેરીચા રાજામાં અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ, જ્યારે કેટલાક પંડાલોમાં સુપરહીરો જેવી થીમ પસંદ કરવામાં આવી છે.

