કાર્યવાહી@દેશ: હિમાચલના IG સહિત 8 પોલીસકર્મચારીને આજીવન કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિમાચલમાં IG સહિત 8 પોલીસકર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના પ્રખ્યાત ગુડિયા બળાત્કાર-હત્યા કેસમાં પોલીસ કસ્ટડીમાં આરોપીની હત્યાના આરોપમાં IG સહિત 8 પોલીસકર્મચારીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ચંડીગઢની CBI કોર્ટે પોતાનો ચુકાદો આપતાં 18 જાન્યુઆરી, 2025ના રોજ તમામને દોષિત જાહેર કર્યા હતા.
CBI કોર્ટે તમામ દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આજે સવારે કોર્ટે તમામ દોષિતોની અપીલ સાંભળ્યા બાદ સાંજે 4 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો હતો.
હવે કોર્ટે હિમાચલના IG ઝહુર એચ. ઝૈદીની સાથે તત્કાલીન થિયોગ DSP મનોજ જોશી, SI રાજીન્દર સિંહ, ASI દીપ ચંદ શર્મા, માનદ હેડ કોન્સ્ટેબલ મોહનલાલ અને સુરત સિંહ, હેડ કોન્સ્ટેબલ રફી મોહમ્મદ અને કોન્સ્ટેબલ રાનિતને આજીવન કેદની સજા ફટકારી છે. એ જ સમયે કોર્ટે શિમલાના તત્કાલીન SP ડીડબ્લ્યુ નેગીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં શિમલા જિલ્લાના કોટખાઈમાં સગીર ગુડિયા પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે આરોપી સૂરજની અટકાયત કરી હતી. ત્યાં ત્રાસ આપ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું. પોલીસે બીજા આરોપી રાજુ પર આનો આરોપ લગાવ્યો.
જોકે લોકઅપમાં સૂરજની હત્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ કોટખાઈ પોલીસ સ્ટેશનને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તત્કાલીન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે આ કેસ CBIને સોંપ્યો હતો. CBIએ આ કેસમાં IG અને SP શિમલા સહિત 9 પોલીસ અધિકારી અને જવાનોની ધરપકડ કરી હતી.