દેશઃ કોરોનાના કેસમાં વધારો થતાં ચિંતામાં વધારો, છેલ્લા 24 કલાકમાં 2541 નવા કેસ અને 30ના મોત થયા

ગઈકાલે 3,64,210 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.  . દૈનિક પોઝિટિવિટી રેટ 0.84 ટકા છે.
 
coronavirus-2

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે.

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16,522 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,223 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,21,341 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 18,71,95,781 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 3,64,210 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.  . દૈનિક પોઝિટિવિટી રેટ 0.84 ટકા છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોવિડની વધતી જતી સ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલે દેશના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. પીએમ મોદી સાથે આ બેઠકમાં વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને તેમના મંત્રાલય સાથે સંબંધિત અધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો, આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ દેશમાં કોવિડના વધતા કેસોને લઈને પ્રેઝન્ટેશન પણ આપશે. આ ઉપરાંત, આ કોવિડ સમીક્ષા બેઠકમાં, પીએમ મોદી રાજ્યોને દેશના લોકોને વધુ એક બૂસ્ટર ડોઝ મફત આપવા માટે પણ વિનંતી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી કોવિડને લઈને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. PM મોદીએ દેશમાં કોરોનાની જમીની સ્થિતિને સમજવા માટે મુખ્યમંત્રીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ઘણી બેઠકો કરી છે.

ભારતમાં ચોથી લહેર આવશે ?

ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ચોથી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.