સ્પેશ્યલ@દિવસ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ, ગુજરાતમાં આખું અઠવાડિયુ થશે ઉજવણી
અટલ સમાચાર, ડેસ્ક
આજે મહેસાણા જિલ્લાના વડનગરના વાતની અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો 72મો જન્મ દિવસ છે. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી મોદીની રાહ પડકારોથી ભરી હતી. પણ પડકારોને પડકાર આપી મોદી સફળતાની સીડીઓ ચડતા ગયા. અને આજે દેશના સર્વોચ્ચ પદે શાનથી બિરાજમાન છે. આજે PM મોદીના 72માં જન્મદિવસની દેશભરમાં ઉજવણી થશે.
ગુજરાતભરમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બરે બ્લડ ડોનેશનનો વિશ્વ રેકોર્ડ બનાવશે. દુબઇના પેઇન્ટરે તૈયાર કરેલા પોસ્ટરનું લોન્ચિંગ કરાશે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા ખાતે પેન્ટિંગ પ્રદર્શન કરાશે. 20 સપ્ટેમ્બરે 182 બેઠકો પર કિસાન પંચાયત કરવામાં આવશે. 21 સપ્ટે.ના રોજ 750 જગ્યાએ યુવતીઓના હિમોગ્લોબિનના ટેસ્ટ કરાશે. દલિત સમાજની બહેનોના નારી શક્તિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 10 હજાર જેટલી મહિલાઓ હાજર રહેશે. 40 વિધાનસભા વિસ્તારમાં મેડિકલ કેમ્પ કરવામાં આવશે. 2 ઓક્ટોબરે ગુજરાતમાં સ્વચ્છતા મિશન શરૂ કરાશે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વખતે PM મોદી પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો પાલપુર નેશનલ પાર્કમાં શનિવારે 17 સપ્ટેમ્બરે જ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત આવી રહ્યા છે અને આ ખાસ અવસર પર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે હશે.તેઓ શ્યોપુરના કરહાટમાં મહિલા સ્વ-સહાય જૂથના સંમેલનને પણ સંબોધિત કરશે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મ દિવસ ચિત્તાઓની વચ્ચે ઉજવશે.
પીએમ મોદીના જન્મદિવસ પર દિલ્હી ભાજપ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 'સેવા પખવાડા'ની ઉજવણી કરશે.આ સમય દરમ્યાન આરોગ્ય તપાસણી અને રક્તદાન કેમ્પ સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે. દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ આદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે એક ખાસ રેસનું આયોજન કરવામાં આવશે, જેમાં ઝૂંપડપટ્ટીના લોકો ભાગ લઈ શકશે.
ચેન્નઈની હોસ્પિટલમાં જન્મનાર બાળકોને અપાશે ભેટ
તમિલનાડુ રાજ્યના મત્સ્યપાલન અને સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગને કહ્યું કે, "અમે ચેન્નઈની સરકારી હોસ્પિટલ RSRMની પસંદગી કરી છે, જ્યાં પીએમના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે. મુરુગને કહ્યું કે દરેક વીંટી લગભગ 2 ગ્રામ સોનાની હશે, જેની કિંમત 5000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ કોઈ મફતની રેવડી નથી, અમે તેના દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે જન્મેલા લોકોનું સ્વાગત કરવા માંગીએ છીએ. ભાજપના સ્થાનિક એકમનો અંદાજ છે કે 17 સપ્ટેમ્બરે આ હોસ્પિટલમાં 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે.
ગરીબોને થશે 720 કિલો માછલીનું વિતરણ
પીએમ મોદીના જન્મદિવસને ઉજવવા માટે તામિલનાડુમાં બીજી પણ એક યોજના જાહેર કરાઈ છે જેમાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના મતવિસ્તારને 720 કિલો માછલીના વિતરણ માટે પસંદ કરવામાં આવ્યો છે. ગરીબોને 720 કિલો માછલીનું વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) યોજનાનો હેતુ માછલીના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે.
17 સપ્ટેમ્બરે PM મોદીનો 72મો જન્મદિવસ
પ્રધાનમંત્રી મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના એક નાનકડા શહેર વડનગરમાં થયો હતો. મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો હતો. નરેન્દ્ર મોદીએ 1972માં RSS સાથે જોડાઇને પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી હતી. 1987માં મોદી BJP સાથે જોડાયા અને 1995માં પાર્ટીના અધ્યક્ષ બન્યા.1998માં તેઓ રાષ્ટ્રીય મહાસચીવ પણ બન્યા. નરેન્દ્ર મોદી 3 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2001માં તે પહેલીવાર ગુજરાતના CM બન્યા અને 2013માં ભાજપે તેમનું નામ પ્રધાનમંત્રી પદના ઉમ્મેદવાર તરીકે જાહેર કર્યું. જેની ચૂંટણીમાં ભાજપે 282 સીટો પર વિજય હાંસીલ કર્યો અને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા. ત્યારબાદ 2019ની ચૂંટણીમાં ભાજપે 300 સીટોથી વિજય મેળવ્યો.