ત્રાસ@કેરળ: લ્યો બોલો ....રખડતા અને હિંસક કૂતરાઓને મારવા માટે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું

રખડતા અને હિંસક કૂતરાઓને મારવા માટે પરવાનગી આપો: કેરળ સરકાર
 
Dog

અટલ સમાચાર, ડેસ્ક 

કેરળ સરકારે રખડતા અને હિંસક કૂતરાઓને મારવા માટે પરવાનગી માંગતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. અહી તમારે એ જાણવું પણ જરૂરી છે કે, આ વર્ષે માત્ર કેરળમાં જ 1.2 લાખ લોકોને રખડતા કૂતરાઓ કરડ્યા છે. જોકે અત્રે નોંધનીય છે કે, કેરળ સરકારે હડકવા જેવા ખતરનાક રોગથી સંક્રમિત કૂતરાઓને જ મારવા માટે સુપ્રીમ કોર્ટ પાસે પરવાનગી માંગી છે.

કેરળના સ્થાનિક સ્વરાજ્ય મંત્રી એમબી રાજેશે જણાવ્યું હતું કે, 20 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધી કૂતરાઓ માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. કેરળ સરકારે દાખલ કરેલા સોગંદનામામાં છેલ્લા 5 વર્ષમાં 8 લાખ લોકો રખડતા કૂતરાઓનો શિકાર બન્યા છે. એમબી રાજેશે જણાવ્યું કે , કેરળમાં વેટરનરી યુનિવર્સિટીના સહયોગથી કૂતરાઓનું રસીકરણ અભિયાન આયોજિત કરવામાં આવશે. સ્વયંસેવકો અને કુડુમ્બશ્રી કાર્યકરોને યુનિવર્સિટી દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવશે. સરકાર રસીકરણ માટે અલગ વાહન ભાડે કરશે. આ માટે બ્લોક પંચાયતો, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતોને ફંડ ફાળવવામાં આવશે. 

મહત્વનું છે કે, રખડતા કૂતરાઓના આતંકથી બચવા માટે, ગાઝિયાબાદ અને નોઈડાની મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કૂતરાની નોંધણી કરાવવી ફરજિયાત બનાવી દીધી છે. રજીસ્ટ્રેશન ન કરાવવા પર 5000 રૂપિયાનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે. તેને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવશે. આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. નોંધણી માટે હડકવા વિરોધી રસીકરણનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ?

સુપ્રિમ કોર્ટે રખડતા કૂતરાઓને ટ્રેક કરવા માટે ચિપ્સ લગાવવાનું પણ સૂચન કર્યું હતું. જસ્ટિસ ખન્નાએ કહ્યું, 'આપણામાંથી મોટાભાગના લોકો કૂતરાઓને પ્રેમ કરે છે. હું જાતે કૂતરાઓને ખવડાવું છું. તેમાંના કેટલાક ક્રોધી સ્વભાવના હોય છે. આવી સ્થિતિમાં સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમજી વિચારીને કોઈ રસ્તો શોધવો પડશે. આવા શ્વાનને અલગ કરવા પડશે.