દેશઃ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે

ટોલ પ્લાઝા પર ઓટોમેટિકલી રીડ કરી શકે તેવી નંબર પ્લેટ ઈન્સ્ટોલ કરવા- લગાવવા માટે મોટરકારના માલિકોને ચોક્કસ સમય આપવામાં આવશે. આ હેતુસર સંસદમાં બિલ રજૂ કરીને મંજૂર કરવામાં આવશે.
 
ટોલ પ્લાઝા

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે અને ટોલ પ્લાઝા પર નંબર પ્લેટ રીડર ઓટોમેટિક કેમેરા લગાવવામાં આવશે અને ઓટોમેટિક કેમેરા વાહનોની નંબર પ્લેટ વાંચીને વ્હીકલના માલિકના લિન્ક કરાયેલા બેંક ખાતામાંથી ટોલ ટેક્સ કપાઈ જશે.

જેના પરિણામે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઠેર ઠેર ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈનો જોવા મળશે નહીં અને તેના લીધે વાહનોએ ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં અને ચાલકોનો કિંમતી સમય બચશે તેમજ ઈંધણની પણ બચત થશે. કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, દેશના ધોરીમાર્ગો પર વાહનોની અવર વજર ખૂબ જ સરળ બનાવવાની નેમ સાથે કેન્દ્ર સરકાર દ્વારા આ હેતુસર પાઈલોટ પ્રોજેક્ટ અંગે સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે અને ટુંક સમયમાં કાનૂની સુધારા કરીને આ સ્કીમ અમલમાં મૂકવા અંગેની જાહેરાત કરવામાં આવશે.


 કેન્દ્ર સરકારે 2019માં કંપની ફિટિંગ ધરાવતી મોટરકારનો કાયદો ઘડયો હતો. આથી છેલ્લાં ચાર વર્ષ દરમિયાન મોટરકાર ઉત્પાદક કંપનીઓ દ્વારા જુદી જુદી નંબર પ્લેટ ધરાવતી મોટરકારનું ઉત્પાદન થયું છે. હવે દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ટોલ પ્લાઝા દૂર કરવા અને વાહનાનો માલિકોના બેંક ખાતામાંથી સીધે સીધી ટોલ ટેક્સની રકમ કપાત- વસૂલ કરવા માટેની યોજના અમલમાં મૂકવાનું આયોજન કરાયું છે. જોકે, ટોલ ટેક્સ ચૂકવ્યા વિના ટોલ પ્લાઝા પરથી પસાર થયેલા વાહનોના માલિકો પાસેથી કેવી રીતે પેનલ્ટી વસૂલ કરવી, તે અંગે કાયદામાં કોઈ જોગવાઈ ન હોવાથી સૂચિત યોજના અમલમાં મૂકવામાં મુશ્કેલી છે. આ પ્રકારે ટોલ ટેક્સ ચૂકવ્યા વિના પસાર થઈ ગયેલા વાહનોના માલિક પાસેથી ટોલ ટેક્સ વસૂલવા માટે કાયદામાં જોગવાઈ કરવી આવશ્યક છે. ટોલ પ્લાઝા પર ઓટોમેટિકલી રીડ કરી શકે તેવી નંબર પ્લેટ ઈન્સ્ટોલ કરવા- લગાવવા માટે મોટરકારના માલિકોને ચોક્કસ સમય આપવામાં આવશે. આ હેતુસર સંસદમાં બિલ રજૂ કરીને મંજૂર કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, હાલ રૂ. 40,000 કરોડના ટોલ ટેક્સ પૈકી 97 ટકા રકમ FASTagsજ મારફતે વસૂલ કરવામાં આવે છે. જ્યારે બાકીની ત્રણ ટકા રકમ જે વાહનોના માલિકોએ FASTags નહીં લગાવનાર પાસેથી વધુ રકમ વસૂલ ક્રવામાં આવે છે. ટોલ પ્લાઝા પર FASTagsજનો અમલ કરવામાં આવ્યા પછી વાહનોની નેંબર પ્લેટ રીડ કરીને ટેક્સ વસૂલીને વાહનને પસાર થવામાં 97 સેકન્ડનો સમય લાગે છે.