નિર્ણય@દેશ: કેદારનાથમાં ભારે બરફવર્ષા વચ્ચે ખરાબ હવામાનના કારણે ચારધામ યાત્રા રોકવામાં આવી

 
Char dham Yatra

અટલ સમાચાર, ડેસ્ક

કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનના કારણે શ્રીનગર પોલીસે સાવધાની તરીકે ચારધામ યાત્રા રોકી દીધી છે. શ્રીનગર એસએચઓ રવિ સૈનીએ જણાવ્યું છે કે, મુસાફરોને શ્રીનગરમાં રોકાવવા માટે પુરતી વ્યવસ્થા કરી છે. યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં થાય. મુસાફરોને હવામાન સાફ થવા પર પોતાની યાત્રા શરુ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તો વળી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પહાડના કાટમાળ રસ્તા પર આવી ગયો છે. 

ચમોલી પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે, કોતવાલી ચમોલી ક્ષેત્રના બાજપુરમાં પહાડીથી કાટમાળ આવવાથી બદરીનાથ હાઈવે બંધ થઈ ગયો છે. દિલ્હી-એનસીઆર, યૂપી, રાજસ્થાન સહિત દેશના અન્ય રાજ્યોમાંથી ચારધામ યાત્રા પર જનારા તીર્થયાત્રીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. કેદારનાથ ધામમાં છેલ્લા 12 દિવસમાં અટકીને બરફવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી ચાર દિવસ હવામાન ખરાબ રહેશે. ખરાબ હવામાન પર અલર્ટ પણ જાહેર કરી દીધું છે. 

ઉત્તરાખંડમાં ખરાબ હવામાનના કારણે વરસાદ અને બરફવર્ષા બાદ તીર્થયાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે ખોલી દેવામા આવ્યા હતા. જ્યારે બદરીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખોલી દેવામાં આવ્યા હતા. 22 એપ્રિલે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દેશમાં તમામ રાજ્યોમાંથી આવતા તીર્થ યાત્રીઓને અપીલ કરી છે કે ઉત્તરાખંડ મૌસમની અપડેટ લીધા બાદ યાત્રા શરુ કરો. રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને કેદારનાથમાં થઈ રહેલી ભારે બરફવર્ષાને જોતા મુસાફરોને સુરક્ષિત જગ્યા પર રોકાવાની અપીલ કરી છે.