રિપોર્ટ@બિહાર: સુપ્રીમે RJDના પૂર્વ સાંસદને ડબલ મર્ડર કેસમાં દોષી જાહેર કર્યા, વોટ ન આપતા કરી હતી હત્યા

 
Shambhu Bihar

અટલ સમાચાર, ડેસ્ક

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમકોર્ટે ડબલ મર્ડર કેસમાં પ્રભુનાથ સિંહને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં નીચલી કોર્ટે તેમને મુક્ત કરી દીધા હતા. તેના પછી પટણા હાઈકોર્ટે પણ તેમની મુક્તિને યોગ્ય ઠેરવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવતાં 1 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.

સુપ્રીમકોર્ટે બિહારના ડીજીપી અને મુખ્ય સચિવને આદેશ કર્યો છે કે 1 સપ્ટેમ્બરે પ્રભુનાથને કોર્ટમાં હાજર કરવામાં આવે. 1 સપ્ટેમ્બરે પ્રભુનાથ સિંહની સજા અંગે ચર્ચા થશે. હાલ પ્રભુનાથ સિંહ એક બીજા મર્ડર કેસમાં હજારીબાગ જેલમાં સજા ભોગવી રહ્યા છે.

શું હતો સમગ્ર કેસ ? 

બિહારની મહારાજગંજ લોકસભા સીટથી ત્રણ વખત જેડીયુ અને એક વખત આરજેડીની ટિકિટ પર સાંસદ રહી ચૂકેલા પ્રભુનાથ સિંહ સામે 1995 માં મસરખના એક મતદાન કેન્દ્ર નજીક ત્યારના 47 વર્ષના દારોગા રાય અને 18 વર્ષના રાજેન્દ્ર રાયની હત્યાનો આરોપ છે. આરોપ હતો કે બંનેએ પ્રભુનાથ સિંહ સમર્થિત ઉમેદવારને વોટ નહોતો આપ્યો એટલા માટે તેમની હત્યા કરી દીધી હતી.