રાજકારણ@દેશ: પાકિસ્તાનમાં PTIએ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

ફરી ક્યારેય પીટીઆઈમાં પ્રવેશ નહીં કરે
 
રાજકારણ@દેશ: પાકિસ્તાનમાં PTIએ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના રાજકારણમાં અવાર-નવાર વિરોધની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  પાકિસ્તાનમાં પીટીઆઈએ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના જમણા હાથના માણસ કહેવાતા ફવાદે ગયા વર્ષે 9 મેની હિંસા પછી રાજકારણમાંથી બ્રેક લીધો હતો. જોકે તેમણે પક્ષ છોડ્યો ન હતો. હવે એક વર્ષથી વધુ સમય બાદ પીટીઆઈએ તેમની સામે કાર્યવાહી કરી છે. પાકિસ્તાની વેબસાઈટ AYR ન્યૂઝ અનુસાર, PTIના સેન્ટ્રલ ઈન્ફોર્મેશન સેક્રેટરી રઉફ હસને કહ્યું કે, ફવાદ ચૌધરી સિવાય ઈમરાન ઈસ્માઈલ, અલી ઝૈદીને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટીએ આ નિર્ણય સુપ્રીમો ઈમરાન ખાનના આદેશ બાદ લીધો છે.


રિપોર્ટ અનુસાર પીટીઆઈ કોર કમિટીએ એક ઠરાવ પસાર કર્યો છે. આ મુજબ આ મંત્રીઓ ક્યારેય પાર્ટીમાં પાછા નહીં ફરે. રઉફ હસને કહ્યું કે, અમે આ વ્યક્તિઓ દ્વારા શરૂ કરાયેલી રેટરિકનો જવાબ આપ્યો હતો, પરંતુ પીટીઆઈના નેતા ઈમરાન ખાને હવે અમને કોઈપણ નિવેદનનો જવાબ ન આપવા સૂચના આપી છે.

રઉફ હસને ભારપૂર્વક કહ્યું હતું કે, ગયા વર્ષે ધરપકડ બાદ સરકાર આ તમામ મંત્રીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહી છે. તેમાંથી કોઈને હેરાન કરવામાં આવ્યા ન હતા. રઉફે આ નેતાઓની મુક્તિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ પીટીઆઈને નબળું પાડવાનો પ્રયાસ છે.


ફવાદ ચૌધરીની ગયા વર્ષે નવેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. 5 મહિના પછી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. તેઓ ભ્રષ્ટાચાર સહિત 28 કેસમાં આરોપી હતા. જેલમાંથી છૂટ્યા બાદ ફવાદ ચૌધરીએ પીટીઆઈ નેતૃત્વની ટીકા કરવાનું શરૂ કર્યું. આ પછી તેમના પર શાહબાઝ સરકારના દબાણમાં બોલવાનો આરોપ લાગ્યો હતો.

મંગળવારે જિયો ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, પાર્ટીના વર્તમાન નેતૃત્વને કારણે જ ઈમરાન ખાન જેલમાંથી મુક્ત થઈ શક્યા નથી. તેમણે કહ્યું કે પીટીઆઈના વર્તમાન નેતાઓને રાજનીતિ કેવી રીતે કરવી તે આવડતું નથી. તેમના કારણે પાર્ટી ડૂબી રહી છે.

ફવાદ ચૌધરીએ પણ તાજેતરમાં કહ્યું હતું કે તે પીટીઆઈમાં જોડાવા માટે ઉત્સુક છે. જો કે, તેણે એમ પણ કહ્યું હતું કે તે પાર્ટીમાં રહે કે ન રહે, તે ઈમરાન ખાનની સાથે જ રહેશે. ફવાદ ચૌધરીએ એમ પણ કહ્યું કે જો તેણે ઈમરાન ખાનને છોડવો હોત તો તે અત્યાર સુધીમાં કોઈ અન્ય પાર્ટીમાંથી સાંસદ બની ગયો હોત.


ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન ફવાદ ચૌધરી ભારતીય ચૂંટણીઓ પરના તેમના નિવેદનોને કારણે સમાચારમાં હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે ભારતમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી હારી જાય. ફવાદે કહ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધો ત્યારે જ સુધરશે જ્યારે બંને દેશોમાં ઉગ્રવાદ ઘટશે.