નિવેદન@દેશ: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આવતા વર્ષે આ તારીખે થશે પ્રાણ-પ્રતિષ્ઠા

અટલ સમાચાર, ડેસ્ક
માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરના રામભક્તો, જેઓ બહુ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ તારીખ આવી ગઈ છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાનની મૂર્તિના અભિષેકની તારીખ જાહેર કરવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામલલ્લાને સ્થાયી ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ભગવાનની મૂર્તિના અભિષેક માટે અનેક તારીખો પર વિચાર કરવામાં આવ્યો હતો. અંતે, 22 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. રામ મંદિરનું 70% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહના સ્તંભોને 14 ફૂટ સુધી પૂર્ણ કરવામાં આવ્યા છે.
22 જાન્યુઆરીએ મૂર્તિની પવિત્રતાને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર સુધીમાં ગર્ભગૃહનું નિર્માણ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સાથે નેપાળથી લાવવામાં આવેલા (શાલિગ્રામ) પથ્થરમાંથી ભગવાન રામની મૂર્તિ બનાવવાનું કામ પણ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે. ચંપત રાયે જણાવ્યું હતું કે ગર્ભગૃહના નિર્માણમાં મકરાણા માર્બલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરના પહેલા માળે રામ દરબાર હશે. બીજો માળ ખાલી રહેશે. એની ઉપયોગિતા મંદિરની ઊંચાઈ માટે રહેશે. ગર્ભગૃહ સુધી પહોંચવા માટે 34 પગથિયાંનો ઉપયોગ કરવામાં આવશે.
'Pran pratishtha' at Ram temple in Ayodhya on 22nd January, tweets Uttar Pradesh Minister Suresh Kumar Khanna. pic.twitter.com/Z3LDj2Bb9g
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 28, 2023
મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો ઓગસ્ટ 2023 સુધીમાં પૂર્ણ થશે. બીજો તબક્કો ડિસેમ્બર 2024માં, જ્યારે 2025 સુધીમાં મંદિર આકાર લઈ લેશે. જાન્યુઆરી 2024માં મંદિરમાં દર્શન-પૂજા શરૂ થશે. મંદિરના નિર્માણમાં લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કુલ ખર્ચ અંદાજે 1800 કરોડ રૂપિયા છે.