કાર્યવાહી@દેશ: બોમ્બે હાઈકોર્ટે વોડાફોન આઈડિયા લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી અરજી પર કંપની તરફી ચુકાદો આપ્યો

વોડાફોન-આઈડિયાને 1128 કરોડનું રિફંડ ચૂકવો

 
હાઈકોર્ટે વોડાફોન આઈડિયા લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી અરજી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બોમ્બે હાઈકોર્ટે વોડાફોન આઈડિયા લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી અરજી પર કંપની તરફી ચુકાદો આપ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આવકવેરા વિભાગ આકારણી વર્ષ 2016-2017 માટે વોડાફોન આઈડિયા દ્વારા આવક કરતા વધુ ચૂકવવામાં આવેલી કરની રકમ, પરત કરવામાં આવકવેરા વિભાગ નિષ્ફળ ગયું છે.

બોમ્બે હાઈકોર્ટે આવકવેરા વિભાગને 2016-17ના આકારણી વર્ષ માટે વોડાફોન આઈડિયા લિમિટેડને ટેક્સ તરીકે ચૂકવેલા રૂ. 1,128 કરોડ રિફંડ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં આપવામાં આવેલ આકારણીનો આદેશ સમયબદ્ધ હતો. આના કારણે તેને યથાવત રાખી શકાય તેમ નથી.

બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કે આર શ્રીરામ અને નીલા ગોખલેની ખંડપીઠે 30 દિવસના નિર્ધારિત સમયગાળામાં અંતિમ આદેશ ના પાઠવવામાં જવાબદાર આકારણી અધિકારી સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આવકવેરાના આવા કારણોસર સરકારી તિજોરી અને જનતાને ભારે નુકસાન થયું છે.

હાઈકોર્ટે વોડાફોન આઈડિયા લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આવકવેરા વિભાગ આકારણી વર્ષ 2016-2017 માટે આવક કરતા વધુ ચૂકવવામાં આવેલ કરની રકમ પરત કરવામાં આવકવેરા વિભાગ નિષ્ફળ ગયુ છે.

ખંડપીઠે તેના આદેશમાં જણાવ્યું હતું કે, વોડાફોનનો મામલો ‘એકદમ પ્રથમ દૃષ્ટિએ’ છે અને તેને આવકવેરા કાયદાની જોગવાઈઓ અનુસાર તેની ફરજો નિભાવવામાં સંબંધિત આકારણી અધિકારીની સંપૂર્ણ ઉદાસીનતા અને બેદરકારીભર્યું વલણ જોવાની ફરજ પડી છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘કાયદાના કડક દાયરામાં કામ કરવાની જવાબદારી સોંપવામાં આવેલા અધિકારીઓની કોઈપણ બેદરકારી સરકારી તિજોરીને અસર કરે છે અને દેશની સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા પર લાંબાગાળે અસર કરે છે.’

આદેશની નકલ કેન્દ્રીય નાણા મંત્રાલયને પણ મોકલવાનો નિર્દેશ આપતાં, હાઇકોર્ટે કહ્યું, “બેદરકારી અને નિષ્કાળજી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેમણે સરકારી તિજોરી અને આ દેશના નાગરિકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ”

અરજી મુજબ, આકારણી અધિકારીએ ડિસેમ્બર 2019 માં આકારણી વર્ષ સંબંધિત ડ્રાફ્ટ ઓર્ડર પસાર કર્યો હતો. જેની સામે કંપનીએ જાન્યુઆરી 2020 માં વિવાદ નિવારણ પેનલ (ડીઆરપી) સમક્ષ વાંધો નોંધાવ્યો હતો. માર્ચ 2021માં ડીઆરપીએ કેટલીક સૂચનાઓ પાઠવી હતી.