ધાર્મિક@દેશ: પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોનું પૂર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે 3 વાગ્યાથી જ દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે, દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી છે.
સોમનાથ મહાદેવની પ્રથમ મહાપૂજા અને પ્રાતઃ આરતી કરાઈ હતી. આ ઉપરાંત, શિવજીની વિશેષ પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલેનાથ'ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું છે.
ભક્તોની ભારે ભીડને લઈ જિલ્લા પોલીસ તંત્ર પણ રાત્રીથી જ એલર્ટ મોડમાં આવી ગયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ સોમનાથ મંદિર ખાતે પહોંચી સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે સુરક્ષા, ટ્રાફિક અને દર્શન વ્યવસ્થાની ખાસ ગોઠવણી કરવામાં આવી છે. શ્રાવણના સોમવારે સોમનાથમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભક્તિમય માહોલ છવાયો છે.
યાત્રિકોની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુચારું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગ યાત્રિકો માટે નિઃશુલ્ક કાર, વ્હીલચેર અને મંદિર પરિસરમાં લિફ્ટની સુવિધા પણ કરવામાં આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા છે.
નિઃશુલ્ક ડેમો ટ્રેનની વ્યવસ્થા કરાઈ
સોમનાથ મંદિરના પાર્કિંગથી મંદિર સુધીનું આશરે 700 મીટરનું અંતર હોવાથી, ટુરિઝમ વિભાગના સહયોગથી નિઃશુલ્ક ડેમો ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન દ્વારા યાત્રિકોને સતત મંદિર સુધી લાવવા-લઈ જવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
શ્રાવણ માસ દરમિયાન ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, સોમનાથ મંદિરની સુરક્ષા માટે થ્રી-લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિરની અંદર કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે. એટલું જ નહીં સ્ક્રીનિંગ પ્રક્રિયા બાદ જ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પોલીસ કર્મચારીઓને યાત્રિકો સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરવા અને સુરક્ષા જાળવવા માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે.
આમ, શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ ધામમાં આસ્થા અને ભક્તિનો અદભૂત સંગમ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ગુંજતા 'હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું છે.

