રિપોર્ટ@દેશ: PM મોદી અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરશે

સ્વીકાર્યું આમંત્રણ

 
રિપોર્ટ@દેશ: PM મોદી અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર ખુલવા જઈ રહ્યું છે. આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 14 ફેબ્રુઆરીએ થશે.

આ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. સત્તાવાર માહિતી મુજબ પીએમ મોદીએ આ આમંત્રણ સ્વીકારી લીધું છે. એટલે અબુ ધાબીના આ સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

સ્વામિનારાયણ મંદિર તરફથી એક પ્રતિનિધિમંડળ ગુરુવાર નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થા તરફથી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામીએ ગુરુવર્ય મહંત સ્વામી તરફથી પીએમ મોદીને મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીને આમંત્રણ આપતી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

આ મુલાકાત બાદ BAPS સ્વામિનારાયણ સંસ્થા તરફથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહેવામાં આવ્યું છે કે ગુરુવર્ય મહંત સ્વામી વતી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ અબુધાબીમાં 14 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ આ આમંત્રણ સ્વીકાર્યું છે. જણાવી દઈએ કે આ સંસ્થા હિન્દુ મંદિરનું સંચાલન કરે છે.

અબુધાબીના હિંદુ મંદિરના પ્રતિનિધિમંડળે પીએમ મોદી સાથે લગભગ એક કલાક સુધી અનૌપચારિક મુલાકાત કરી હતી. આ દરમિયાન, વૈશ્વિક સંવાદિતા માટે હિન્દુ મંદિરોના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વના મોદીના વિઝનની પણ ચર્ચા કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે અબુ ધાબીનું આ પહેલું હિંદુ મંદિર છે, જે અલ વકબા સ્થાન પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનેલું છે. આ મંદિરને ખૂબ જ આધુનિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પ્રાચીન કલા અને આધુનિક સ્થાપત્યના સમન્વયથી બનેલા આ મંદિરની કોતરણી અજોડ છે.

મંદિરની વેબસાઇટ અનુસાર, આ મંદિર શાહી, પરંપરાગત હાથથી કોતરેલા પથ્થરોથી બનેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિરને ભારત અને UAE વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. પીએમ મોદીએ આ મંદિર નિર્માણ પ્રોજેક્ટને ભારત અને UAE વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક ગણાવ્યું હતું.