રિપોર્ટ@દિલ્હી: આતિશી તેમના ઘરે CM ઓફિસનું કામ કરતા જોવા મળ્યા

બંગલો ખાલી કરાવવામાં આવ્યો; LG ઓફિસે કહ્યું- દિલ્હીમાં 6 નંબરનો બંગલો મુખ્યમંત્રીનું ઘર નથી

 
રિપોર્ટ@દિલ્હી: આતિશી તેમના ઘરે CM ઓફિસનું કામ કરતા જોવા મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. દિલ્હીના સીએમ આવાસમાંથી બહાર કાઢ્યાના એક દિવસ પછી, આતિશી તેમના પ્રાઈવેટ ઘરે CM ઓફિસનું કામ કરતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે પણ શેર કર્યો હતો. તેમાં જોઈ શકાય છે કે આતિશી સીએમ આવાસમાંથી બહાર કાઢવામાં આવેલા સામાનથી ભરેલા કાર્ટુન વચ્ચે બેઠા છે. આ દરમિયાન તેમણે એક ફાઇલ પર સહી પણ કરી હતી.

CM આવાસનો વિવાદ ત્યારે વધી ગયો જ્યારે 9 ઓક્ટોબરે PWDએ સિવિલ લાઇન્સના ફ્લેગસ્ટાફ રોડ પરના બંગલા નંબર 6ને સીલ કરી દીધો. CM આતિશી 7 ઓક્ટોબરે આ બંગલામાં રહેવા ગયા હતા. ત્રણ દિવસ પછી તેમને બંગલો ખાલી કરાવવામાં આવ્યો.

દિલ્હી LG ઓફિસના જણાવ્યા અનુસાર આ બંગલો મુખ્યમંત્રીનું ઘર નથી અને તે કોઈને પણ ફાળવી શકાય છે. આતિશીએ આ બંગલામાં ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. જો કોઈ અમારી મિલકત પર કબજો જમાવે છે, તો માલિક પગલાં લેવા માટે હકદાર છે.

PWDના અધિકારીઓ 9 ઓક્ટોબરના રોજ સવારે 11-11:30 વાગ્યે મુખ્યમંત્રી આવાસ પર આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, મકાન સોંપવામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. આતિશી પાસે આ ઘરની ચાવી હતી, પરંતુ તેને ઘરની ફાળવવાના સત્તાવાર દસ્તાવેજો આપવામાં આવ્યા ન હતા. અધિકારીઓએ બપોર સુધીમાં ઘરની ચાવીઓ લઈ લીધી હતી.

આ અંગે સીએમ ઓફિસે કહ્યું, 'ઈતિહાસમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીને તેમનું ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. ભાજપના ઈશારે LG એ સીએમ આતિશીનો ઘરનો સામાન બળજબરીપૂર્વક બહાર કાઢ્યો હતો. આ સીએમ આવાસ બીજેપીના મોટા નેતાને આપવાની તૈયારી ચાલી રહી છે. 27 વર્ષથી દિલ્હીમાં ભાજપની સરકાર નથી, હવે તે સીએમ આવાસ ઝુંટવી લેવા માંગે છે.

કેજરીવાલના સ્પેશિયલ સેક્રેટરી સહિત ત્રણ અધિકારીઓને વિજિલન્સ ડિરેક્ટરે કારણ બતાવો નોટિસ ફટકારી છે. અન્ય બે અધિકારીઓ એવા છે જેઓ જ્યારે કેજરીવાલ સીએમ હતા ત્યારે સીએમ ઓફિસમાં તહેનાત હતા. તેમને પૂછવામાં આવ્યું છે કે સ્પષ્ટ સૂચનાઓ આપ્યા પછી પણ તેમણે પીડબલ્યુડીને મુખ્યમંત્રી આવાસની ચાવીઓ કેમ ન સોંપી. આ અધિકારીઓને સાત દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આ મામલે કહ્યું, 'અરવિંદ કેજરીવાલના 'શીશ મહેલ'ને આખરે સીલ કરી દેવામાં આવ્યો છે... તે બંગલામાં કયા રહસ્ય છુપાયેલા છે કે સંબંધિત વિભાગને ચાવી આપ્યા વિના તમે બંગલામાં ફરી ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા?'

તેમણે વધુમાં કહ્યું- 'તમે તમારો સામાન બે નાની ટ્રકમાં લઈ જઈને સારું ડ્રામા કર્યો છે. બધા જાણે છે કે બંગલો હજુ પણ તમારા કબજામાં છે. તમે જે રીતે આતિશીને બંગલો સોંપવાનો પ્રયાસ કર્યો તે ગેરકાયદે હતો. આતિશીને પહેલેથી જ બંગલો ફાળવવામાં આવ્યો છે, તો તે તમારો બંગલો કેવી રીતે લઈ શકે છે? તે બંગલામાં ઘણા રહસ્યો છુપાયેલા છે.