રિપોર્ટ@ગાંધીનગર: સચિવાલયના નિવૃત્ત કર્મચારીની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરના માણસામાં અંબોડ હાઈ-વે પર પ્રિયંકા ગોલ્ડ સોસાયટીમાં પાંચમા માળે આવેલા બંધ ફ્લેટમાંથી સચિવાલયના નિવૃત્ત કર્મચારીની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી છે. આ મકાનમાંથી કોઈ સામાન ગાયબ ન હોવાથી તેમજ લૂંટના કોઈ પુરાવા ન મળતાં અંગત અદાવતમાં કોઈ પરિચિત વ્યક્તિએ જ હત્યાને અંજામ આપ્યાનું આશંકા સેવાઈ છે. હાલ માણસા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ FSLની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે.
બંધ ફ્લેટમાંથી પલંગ પરથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો
પોલીસ તપાસમાં સામે આવેલી વિગત અનુસાર મૃતકની ઓળખ 61 વર્ષીય બાબુલાલ વાલીગ ડોડીયાળ તરીકે થઈ છે, જેઓ વર્ષ 2023માં ગાંધીનગર સચિવાલય ખાતે પટાવાળા તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ મૂળ પરિવાર સાથે ગાંધીનગર રહેતા હતા અને અંબોડ સ્થિત પોતાના ફ્લેટ પર અવારનવાર આવતા હતા.
આ અંગે માણસા પીઆઇ જે. બી. ખાંભલાએ કહ્યું કે, અત્રેની સોસાયટીમાં મૃતકના બે ફ્લેટ આવેલા છે. એક ફ્લેટમાં તે રહેતા હતા અને સામેનો ફ્લેટ ભાડે આપેલો છે. ગઈકાલે જ રાજસ્થાની ભાડુઆતે મૃતકને ત્રણ મહિનાનું બાકીનું ભાડું ચૂકવ્યું હતું. હાલમાં આ ઘટના અંગે પાડોશીઓ અને પરિવારના સભ્યોની પૂછતાછ ચાલી રહી છે.
બોથડ હથિયારના ઘા ઝીંકી હત્યા
આ બનાવની જાણ થતાં જ માણસા DYSP, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બાબુલાલના માથાના ભાગે કોઈ ભારે અને બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે. ઘટનાસ્થળે રસોડાના ગેસ પર ખીચડી રાંધેલી સ્થિતિમાં મળી આવી હતી. સામેના ફ્લેટમાં રહેતા પાડોશીએ જણાવ્યું હતું કે, પોતે ભાડે રહેતા હોવાથી મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ જ બાબુલાલને મકાન માલિકને આપવા માટે ભાડાના પૈસા સોંપ્યા હતા, જેથી હત્યા મંગળવારના સમયગાળા દરમિયાન જ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
ઘરવખરી અકબંધ હોવાથી જાણભેદુ સામે શંકાની સોય
ઘરમાં કોઈ લૂંટફાટના ચિહ્નો જોવા મળ્યા ન હોવાથી અને તમામ સામાન સુરક્ષિત હોવાથી હત્યારો કોઈ અંગત પરિચિત કે જાણભેદુ હોવાની દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. આ તરફ અચાનક બનેલી કરૂણ ઘટનાના પગલે રાજસ્થાનના ડુંગરપુરથી પણ પરિવારજનો અને સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા અને પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પોલીસે તપાસ કરતા તમામ સામાન સુરક્ષિત મળ્યો
હાલ FSLની ટીમે સ્થળ પરથી ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય ફોરેન્સિક પુરાવા મેળવ્યા છે. માણસા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અજાણ્યા હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી આરોપીનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

