રમત@દેશ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, દુબઈ અથવા શ્રીલંકામાં યોજવા માટે પ્રસ્તાવ મુકશે

ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય
 
રમત@દેશ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, દુબઈ અથવા શ્રીલંકામાં યોજવા માટે પ્રસ્તાવ મુકશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકોને ક્રિકેટ મેચ ખુબજ ગમે છે. આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ બોર્ડ ICCને ભારતની મેચ પાકિસ્તાનને બદલે દુબઈ અથવા શ્રીલંકા યોજવા કહેશે. ભારત ગયા વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ સિરીઝમાં રમવા પણ ગયું ન હતું. ત્યારે ભારતની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ ફાઈનલ માટે રિઝર્વ-ડે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટુર્નામેન્ટની 15 મેચનો ડ્રાફ્ટ ICCને મોકલી દીધો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમના બોર્ડની સંમતિ લીધા પછી જ ICC આ શેડ્યૂલને મંજૂરી આપશે.

લાહોરમાં 1 માર્ચે પાકિસ્તાન તેના સૌથી મોટા હરીફ ભારતનો સામનો કરી શકે છે. જોકે, BCCIએ હજુ સુધી આ મેચ માટે પોતાની સંમતિ આપી નથી. ICC બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ બુધવારે પીટીઆઈને આ માહિતી આપી.

1996 પછી પહેલીવાર પાકિસ્તાન કોઈ મોટી ICC ટુર્નામેન્ટનું આયોજન કરશે. જોકે, PCBએ 2008માં સમગ્ર એશિયા કપનું આયોજન કર્યું હતું અને ગયા વર્ષે પણ એશિયા કપની કેટલીક મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી.


રિપોર્ટ અનુસાર, PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ICCને 15 મેચનું શેડ્યૂલ મોકલી દીધું છે. જેમાં સુરક્ષાના કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રાખવામાં આવી છે.

ICC બોર્ડના એક સભ્યએ કહ્યું, "PCBએ 15 મેચની ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ સબમિટ કર્યો છે. સાત મેચ લાહોરમાં, ત્રણ કરાચીમાં અને પાંચ રાવલપિંડીમાં યોજાશે. શરૂઆતની મેચ કરાચીમાં યોજાશે, જ્યારે બે સેમિફાઈનલ મેચ કરાચી અને રાવલપિંડીમાં થશે. આ સિવાય ફાઈનલ મેચ લાહોરમાં રમાશે, જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચશે તો આ મેચ પણ લાહોરમાં રમાશે.