દુઃખદ@દેશ: મનમોહન સિંહના પાર્થિવદેહને આવતીકાલે કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પૂર્વ વડાપ્રધાનનાં મોતથી રાજકારણમાં શોક જોવા મળી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલના બુલેટિન અનુસાર, તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા.
મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. તેમજ શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મોડી રાત્રે બેલાગવીથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા મનમોહન સિંહના ઘરે ગયા હતા. રાહુલે X પર લખ્યું- મેં મારા માર્ગદર્શક અને ગુરુ ગુમાવ્યા છે. મનમોહનના પાર્થિવ દેહને આવતીકાલે કોંગ્રેસના મુખ્યાલયમાં રાખવામાં આવશે, જ્યાં સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમના અંતિમ સંસ્કાર રાજઘાટ પાસે થશે.