રિપોર્ટ@દેશ: ડલ્લેવાલના આમરણાંત ઉપવાસ મામલે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ભારે ઠપકો આપ્યો
સુપ્રીમે કહ્યું- સમસ્યાઓ ઉભી કરીને કહી રહ્યા છો, કશું કરી શકાતું નથી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડૂતોએ આંદોલન ચાલુ કર્યું હતું. ખેડૂતો ભુખહળતાળઉપર ઉતર્યા હતા. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલના આમરણાંત ઉપવાસ મામલે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ભારે ઠપકો આપ્યો હતો. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. જેમાં પંજાબ સરકારે કહ્યું કે જો ડલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો ખેડૂતો વિરોધ કરી શકે છે.
જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, માંગણીઓ માટે આંદોલન એ લોકતાંત્રિક માર્ગ છે, પરંતુ કોઈને હોસ્પિટલમાં લઈ જવાથી રોકવા માટેનું આંદોલન ક્યારેય સાંભળ્યું નથી. આ આત્મહત્યા માટે ઉશ્કેરવા જેવું છે. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ઠપકો આપતા કહ્યું કે પહેલા તમે સમસ્યાઓ ઉભી કરો છો અને પછી કહો કે તમે કંઈ કરી શકતા નથી?
ડલ્લેવાલને હોસ્પિટલમાં લઈ જવાનો વિરોધ કરનારાઓ સામે પણ કોર્ટે કડક વલણ દાખવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ કેવા ખેડૂત નેતા છે જેઓ ઈચ્છે છે કે ડલ્લેવાલ મરી જાય. તેમના પર દબાણ કરાઈ રહ્યું છે. કોર્ટે કહ્યું કે તેઓ ડલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવાના પંજાબ સરકારના પ્રયાસોથી સંતુષ્ટ નથી. કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો કે જો ડલ્લેવાલને શિફ્ટિંગ કરવામાં મદદની જરૂર હોય તો પૂરી પાડવામાં આવે.
પંજાબના મુખ્ય સચિવ અને ડીજીપી વિરુદ્ધ અવમાનના કેસ અંગે 31 ડિસેમ્બરે બીજી સુનાવણી થશે. ડલ્લેવાલ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની બાંયધરી આપવા માટે કાયદાની માંગણી સાથે ખનૌરી બોર્ડર પર 33 દિવસથી ભૂખ હડતાળ પર છે. ગઈકાલે 27 ડિસેમ્બરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પંજાબ સરકાર પાસેથી ડલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરવાના પ્રયાસો અંગે રિપોર્ટ માંગ્યો હતો.