રાજકારણ@દેશ: ચંદ્રબાબુ નાયડુ NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, જાણો વધુ વિગતે

આંધ્રમાં NDAને 175માંથી 164 બેઠકો મળી છે
 
રાજકારણ@દેશ: ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. નવી સરકાર બનવા જઈ રહી છે. આંધ્રપ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે મંગળવારે (11 જૂન) NDAની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), જનસેના અને ભાજપના ધારાસભ્યોએ વિજયવાડામાં બેઠક યોજી હતી. જેમાં ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુને સર્વસંમતિથી એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અભિનેતામાંથી રાજકારણી બનેલા જનસેનાના વડા પવન કલ્યાણને વિધાનસભામાં ફ્લોર લીડર તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

આ પછી નાયડુ અને કલ્યાણ રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળવા રાજભવન પહોંચ્યા. તેઓ રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. રાજ્યપાલ મંગળવાર સાંજ સુધીમાં નાયડુને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નાયડુ 12 જૂને સવારે 11:27 કલાકે વિજયવાડાના ગન્નાવરમ એરપોર્ટ નજીક કેસરપલ્લી આઈટી પાર્કમાં શપથ લેશે. મુખ્યમંત્રી તરીકે આ તેમની ચોથી ટર્મ હશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. એવી ચર્ચા છે કે પવન કલ્યાણ નાયડુની સાથે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ શકે છે. આ સિવાય ટીડીપીના મહાસચિવ અને નાયડુના પુત્ર નારા લોકેશ અને જનસેનાના નેતા એન મનોહર પણ શપથ લે તેવી શક્યતા છે. નાયડુની કેબિનેટમાં ટીડીપીને 20 મંત્રી પદ, જનસેનાને ત્રણ અને ભાજપને બે મંત્રી પદ મળી શકે છે.

આંધ્રપ્રદેશમાં 4 જૂને લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. વિધાનસભામાં NDAએ 175માંથી 164 બેઠકો જીતીને એકતરફી જીત મેળવી હતી. જેમાં નાયડુની ટીડીપીને 135, પવન કલ્યાણની જનસેનાને 21 અને ભાજપને 8 બેઠકો મળી છે. જગન મોહન રેડ્ડીની YSRCPને માત્ર 11 બેઠકો મળી છે. કોંગ્રેસ રાજ્યમાં ખાતું પણ ખોલાવી શકી નથી. આ વખતે જગન મોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલા રેડ્ડી રાજ્યમાં કોંગ્રેસનું નેતૃત્વ કરી રહી હતી. તે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે. રાજ્યની 25 લોકસભા બેઠકોમાંથી NDAએ 21 બેઠકો જીતી છે. જેમાંથી ટીડીપીને 16, ભાજપને 3 અને જનસેના પાર્ટીને 2 બેઠકો મળી છે. YSRCPને 4 બેઠકો મળી છે.