અપડેટ@પ્રયાગરાજ: મહાકુંભમાં માઘ પૂર્ણિમા સ્નાન ચાલુ, સંગમથી 10 કિમી દૂર ચારે બાજુ ભક્તોની ભારે ભીડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં મહાકુંભનો મેળો ચાલુ છે. અત્યારન સુધીમાં કરોડો લોકો આ મેળામાં પહોચ્યા હતા. હજુ પણ લોકો મેળામાં જઈ રહ્યા છે. મહાકુંભમાં માઘ પૂર્ણિમા સ્નાન ચાલુ છે. પ્રયાગરાજમાં ભારે ભીડ છે. સંગમથી 10 કિમી દૂર ચારે બાજુ ભક્તોની ભીડ જામી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 1.59 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. આજે અઢી કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે એવો અંદાજ છે.
હેલિકોપ્ટરમાંથી શ્રદ્ધાળુઓ પર 25 ક્વિન્ટલ ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ બાદ ટ્રાફિક પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરમાં વાહનોનો પ્રવેશ બંધ છે. મેળા વિસ્તારમાં પણ કોઈ વાહન ચાલશે નહીં. આવી સ્થિતિમાં, ભક્તોને સંગમ પહોંચવા માટે 8 થી 10 કિમી ચાલીને જવું પડે છે. વહીવટીતંત્ર પાર્કિંગમાંથી શટલ બસો ચલાવી રહ્યું છે. જો કે, આ અત્યંત મર્યાદિત છે.
સંગમ ખાતે અર્ધલશ્કરી દળના જવાનો તહેનાત છે. ભીડ ન વધે તે માટે લોકોને ત્યાં રોકાવા દેવાતા નથી. મોટાભાગના લોકોને સ્નાન માટે અન્ય ઘાટ પર મોકલવામાં આવી રહ્યા છે. પહેલી વાર, ભીડને નિયંત્રિત કરવા માટે 15 જિલ્લાના ડીએમ, 20 આઈએએસ અને 85 પીસીએસ અધિકારીઓને મેળામાં તહેનાત કરવામાં આવ્યા છે.
અહીં લખનૌમાં, સીએમ યોગી સવારે 4 વાગ્યાથી મુખ્યમંત્રી નિવાસસ્થાને બનેલા વોર રૂમમાંથી મહાકુંભનું નિરીક્ષણ કરી રહ્યા છે. ડીજી પ્રશાંત કુમાર, મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ છે.