અપડેટ@ઉત્તરાખંડ: બદ્રીનાથ-કેદારનાથ માર્ગ પર પથ્થરો પડ્યા, અનેક વાહનો ફસાયા, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તરાખંડમાં ચોમાસાના આગમન બાદ ભારે વરસાદ ચાલુ છે. આજે રુદ્રપ્રયાગ, ચમોલી સહિત અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર સતત પથ્થરો પડી રહ્યા છે. સુરક્ષાના કારણોસર કેદારનાથ યાત્રા હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં પણ અવિરત ભારે વરસાદ ચાલુ છે. મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 172mm વરસાદ નોંધાયો છે. બીજી તરફ, મધ્યપ્રદેશના ઈન્દોરમાં વરસાદી પાણીમાં એક કાર નાળામાં ખાબકી હતી, જ્યારે સિહોરમાં વરસાદના ભારે પ્રવાહમાં બાઇક પણ તણાઈ ગઈ હતી.
બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ગુરુવારે બપોરે સમુદ્રમાં આશરે 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળવાની ચેતવણી આપી છે અને લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે ગુરુવારે સાકીનાકા વિસ્તારમાં ખુલ્લા મેનહોલમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
ચોમાસાએ ગુરુવારે 7 દિવસના વિલંબ સાથે રાજસ્થાનમાં અને 5 દિવસના વિલંબ સાથે દિલ્હીમાં પ્રવેશી લીધું છે. દિલ્હીમાં આજે સવારથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનના જયપુર-દૌસા સહિત 25 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

