અપડેટ@દેશ: ભૂતાનના રાજા જિગ્મે વાંગચુકે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલપો' એવોર્ડથી સન્માનિત કર્યા

ભુતાનમાં રોકાણ માટે ભારત મહત્વપૂર્ણ છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં PM મોદી ભૂતાનના પ્રવાસે ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ભૂટાનની મુલાકાતે છે. આ દરમિયાન, શુક્રવારે ભૂતાનના રાજા જિગ્મે વાંગચુકે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલપો' એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મોદીએ કહ્યું કે તેઓ આ સન્માન 140 કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.

મોદીએ કહ્યું, "એક ભારતીય તરીકે મારા જીવનનો આજનો દિવસ ખુબ મહત્વનો છે. તમે મને ભૂતાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યો છે. દરેક એવોર્ડ વિશેષ હોય છે, પરંતુ જ્યારે કોઈ બીજા દેશ તરફથી એવોર્ડ મળે છે ત્યારે એવું લાગે છે કે આપણે બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની થિમ્પુના તાશિચો ઝોંગ પેલેસ પહોંચ્યા હતા. અહીં મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકને મળ્યા હતા. ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું. ટોબગેએ મોદીને કહ્યું, 'મારા મોટા ભાઈનું સ્વાગત' છે. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

આ દરમિયાન ભૂતાનના યુવાનોએ પણ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીના લખેલા ગીત પર યુવાનો ગરબે રમ્યા હતા. PM મોદી 22-23 માર્ચે ભૂટાનમાં રહેશે. અગાઉ તેમની મુલાકાત 21-22 માર્ચે થવાની હતી. ભુટાનના પારો એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે તેને રદ કરવામાં આવી હતી.

ભૂતાનના લોકોનું કહેવું છે કે તેઓ મોદીની મુલાકાતથી ઘણા ખુશ છે. ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો પહેલાથી જ મજબૂત છે. મોદીની મુલાકાત તેને વધુ મજબૂત બનાવશે. ભારતમાં ચૂંટણીની જાહેરાત બાદ વિદેશ પ્રવાસે જનારા મોદી પ્રથમ વડાપ્રધાન છે. નિષ્ણાતોના મતે ચૂંટણી પહેલા ભૂટાન જઈને મોદીએ પાડોશી દેશને તેનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

PM મોદી ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેના આમંત્રણ પર ભૂતાન પહોંચ્યા હતા. વડાપ્રધાન ટોબગે 5 દિવસ (14-18 માર્ચ) માટે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે મોદીને ભૂતાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. જાન્યુઆરી 2024માં પીએમ બન્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હતી. ટોબગેએ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીને મળ્યા હતા. અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. ટોબગેએ ઉદ્યોગના અનેક અગ્રણીઓ સાથે બેઠકો પણ યોજી હતી.

ભૂતાનના નાગરિક ત્શેવાંગ દોરજીએ ANIને કહ્યું- અમે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. આજે તમામ શાળાઓ બંધ છે. તમામ વિદ્યાર્થીઓ તેમનું સ્વાગત કરવા એક્સપ્રેસ હાઈવે પર પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરીને ખુબ જ આનંદ થયો. પ્રવાસ વિશે માહિતી આપતાં પીએમ મોદીએ X પર લખ્યું- ભૂતાન માટે રવાના. હું ભારત-ભૂતાન ભાગીદારીને વધુ મજબૂત કરવા ઘણા કાર્યક્રમોમાં ભાગ લઈશ. ભૂતાનના કિંગ અને વડાપ્રધાનને મળ્યા હતા.

ઐતિહાસિક રીતે, ભૂતાન હંમેશા ભારતની નજીક રહ્યું છે, જોકે ભારતે તેની વિદેશ નીતિમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી. 8 લાખની વસ્તી ધરાવતું ભૂતાનના અમેરિકા, ચીન, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા સાથે તેના રાજદ્વારી સંબંધો નથી. 1949માં ભારત અને ભૂતાન વચ્ચે વિદેશ નીતિ, વેપાર અને સુરક્ષાને લઈને એક કરાર થયા હતા. 2007માં વિદેશ નીતિની જોગવાઈ દૂર કરવામાં આવી હતી. ભારત હવે ભૂતાનનું સૌથી મોટું રાજદ્વારી અને આર્થિક ભાગીદાર છે.

ભૂટાનની ચીન સાથે 600 કિમીની સરહદ જોડાયેલી છે. બે ક્ષેત્રોને લઈને સૌથી વધુ વિવાદ છે. પ્રથમ- 269 ચોરસ કિમી વિસ્તારનો ડોકલામ વિસ્તાર અને બીજો- ઉત્તર ભૂટાનમાં 495 ચોરસ કિમીનો જકારલુંગ અને પાસમલુંગ ખીણ વિસ્તાર. સૌથી ગંભીર મામલો ડોકલામનો છે, જ્યાં ત્રણ દેશો ચીન, ભારત અને ભૂટાનની સરહદો જોડાયેલી છે. ઓક્ટોબર 2021માં ચીન અને ભૂટાને 'થ્રી-સ્ટેપ રોડમેપ' કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ચીન સાથેના સરહદી વિવાદને કારણે ભૂતાન ભારત માટે મહત્વપૂર્ણ છે
ભારતના અરુણાચલ પ્રદેશની સરહદો ભૂતાનની પૂર્વ સરહદને મળે છે. ચીનની યોજના અરુણાચલ પ્રદેશ પર કબજો કરવાની છે, જેથી તે ભૂતાનનો પાડોશી બની જાય. ચીન ભૂતાનના પશ્ચિમ ભાગમાં સ્ટ્રેટેજિક પોઈન્ટને જોડવા માટે પહેલાથી જ મોટા પાયા પર રસ્તાઓનું નિર્માણ કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર, ચીન ડોકલામથી ગામોચીન સુધી તેના રસ્તાઓનું વિસ્તરણ કરવા માંગે છે, જેની સુરક્ષા હાલમાં ભારતીય સેના પાસે છે. સિલિગુડી કોરિડોરની નજીક જવાનો ચીનનો પ્રયાસ ભારત અને ભૂટાન બંને માટે સુરક્ષા માટે ખતરો છે. ચીન આ ક્ષેત્રમાં પોતાની રેલવે લાઈનોનું નેટવર્ક વધારી રહ્યું છે, જેનાથી તેની સેનાને યુદ્ધના સમયમાં મોટો ફાયદો મળી શકે છે.

ભુતાનમાં રોકાણ માટે ભારત મહત્વપૂર્ણ છે
ભૂતાને 1960ના દાયકામાં આર્થિક વિકાસ માટે તેની પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરી હતી. જેનું સમગ્ર ફંડિંગ ભારતે કર્યું હતું. 2021માં, ભારત સરકારે ભૂતાન સાથે દ્વિપક્ષીય વેપાર વધારવા માટે 7 નવા વેપાર માર્ગો ખોલ્યા. ભારતે 12મી પંચવર્ષીય યોજના માટે ભૂટાનને 4500 કરોડ રૂપિયા પણ આપ્યા હતા.

ભારતની આઝાદી બાદ બંને દેશો વચ્ચે સમજુતી થઈ હતી. તેમાં ઘણી જોગવાઈઓ હતી, જેમાંથી સૌથી મહત્વની હતી સંરક્ષણ અને વિદેશી બાબતો પર ભૂતાનની નિર્ભરતા અંગે. સમયાંતરે આ સમજુતીમાં ઘણા ફેરફારો થયા હોવા છતાં, આર્થિક સહયોગને મજબૂત અને વિસ્તૃત કરવા માટે સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, રમતગમત, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પરસ્પર સહકારની જોગવાઈઓ યથાવત રહી છે.