અપડેટ@વર્લ્ડ: મધદરિયે બોટ સળગી, જીવ બચાવવા લોકો તરફડિયાં મારીને કૂદ્યા, 5 લોકોના મોત

271 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઇન્ડોનેશિયાના માદુરા ટાપુ નજીક રવિવારે સવારે એક પેસેન્જર ફેરી બોટમાં આગ લાગી હતી. રોઇટર્સ અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા, જ્યારે 41 લોકો હજુ પણ ગુમ છે.

ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી અનુસાર ફેરીમાં કુલ 271 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. બપોર સુધીમાં 225 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.

ફેરી પૂર્વ જાવાના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસાર જઈ રહી હતી. આ દરમિયાન માદુરા ટાપુ નજીક તેમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે

ઘટનાના સામે આવેલા વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે ફેરીમાંથી કાળો ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. આગ ફેલાયા પછી મુસાફરો જીવ બચાવવા માટે ફેરીના આગળના ભાગ તરફ ભાગતા જોવા મળ્યા. ઘણા લોકો ગભરાયેલા હતા. બચાવ ટુકડી આસપાસના દરિયાઈ વિસ્તારમાં ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે.

સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી અનુસાર દુર્ઘટના પછી ઘણી બચાવ બોટો અને અન્ય સંસાધનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા. રાહત ટુકડી સમુદ્રમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે જેથી ગુમ થયેલા લોકોનો પત્તો લગાવી શકાય. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે અને મૃતકો કે ગુમ થયેલા લોકોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે.

અધિકારીઓએ જણાવ્યું કે ફેરીમાં આગ કયા કારણે લાગી, તેની માહિતી હજુ સામે આવી નથી. દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે. એજન્સીએ હાલમાં આગ લાગવાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે લગભગ એક વર્ષ પહેલા પણ ઇન્ડોનેશિયામાં ફેરીમાં આગ લાગવાની મોટી દુર્ઘટના થઈ હતી. જુલાઈ 2025માં નોર્થ સુલાવેસી પ્રાંત પાસે KM Barcelona 5 નામની યાત્રી ફેરીમાં આગ લાગી હતી. તે દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 150 લોકોને બચાવવામાં આવ્યા હતા. ફેરીમાં લગભગ 280 લોકો સવાર હતા..