નવસારીની કરુણાંતિકાઃ ટ્રકે-ટેમ્પોની ટક્કરમાં છ શ્રદ્વાળુઓને કાળ ભરખી ગયો
અટલ સમાચાર, ડેસ્ક
મહારાષ્ટ્રના દહાણું ખાતેથી મહાલક્ષ્મી માતાજીના દર્શનથી પરત ફરતા સુરતના છ શ્રધ્ધાળુંઓનાં નવસારી પાસે અકસ્માતમાં મોત થયા છે. મૃતકોમાં પાંચ મહિલાઓ અને એક વૃદ્વનો સમાવેશ થાય છે. નવસારી પાસે રસ્તા પર ઉભા રહેલા ટેમ્પો ટ્રાવેલને ટ્રકે પાછળથી ટક્કર માકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં ચંપાબેન કાન્તિભાઇ લિંબાચિયા, સવિતાબેન વનમાળી પ્રજાપતિ, રમિલાબેન રમળભાઇ પટેલ, રમળ ગોવિન્દભાઇ પટેલ, લતાબેન ભોગીલાલ પટેલ, નિરૂબેન રતિલાલ પટેલનો સમાવેશ થાય છે.
મળતી માહિતી પ્રમાણે સુરતનું મહિલા મંડળ ચૈત્રી નવરાત્રીમાં મહારાષ્ટ્રના દહાણું ખાતે આવેલા મહાલક્ષ્મી માતાજીના દર્શને ગયું હતું. આ દરમિયાન નવસારી પાસે તેમની ટેમ્પો ટ્રાવેલને પંચર પડ્યું હતું. ટેમ્પો ટ્રાવેલે વાહન રસ્તાની બાજુમાં ઉભું રાખતા અંદર બેઠેલી મહિલાઓ નીચે ઉતરી હતી. ટેમ્પો ટ્રાવેલ રસ્તાની બાજુમાં ઉભી હતી ત્યારે જ પૂરપાટ ઝડપે આવેલા એક ટ્રકે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો ટ્રાવેલ રેલિંગની બાજુમાં ઉભેલી મહિલાઓ પર પડી હતી. ટેમ્પો ટ્રાવેલ નીચે દબાઈ જવાને કારણે ત્રણ વૃદ્વાના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.
અકસ્માત બાદ ઘાયલ થયેલી વૃદ્વાઓને સારવાર માટે નવસારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન બે વૃદ્વા અને એક વૃદ્વનું મોત થયું હતું. જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમાંથી અમુકની હલાત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાબતે નવસારી ગ્રામ્ય પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.