ઘટના@મહેસાણા: નજીવી બાબતે ઇસમો ખેડૂત પરિવાર પર તુટી પડતાં 3 ઇજાગ્રસ્ત, ગુનો દાખલ
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
જોટાણા તાલુકાના ગામે નજીવી બાબતોએ ઇસમોએ ખેડૂત પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ ખેડૂતના ખેતરમાંથી કોઇ લજકો વાઢી ગયા હતા. જે બાદમાં કટોસણ ગામના પાંચેક ઇસમો ખેડૂતના ઘરે આવી ગાળાગાળી કરી હતી. જેથી ખેડૂતે ગાળો બોલવાની ના પાડતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ છાણ ખેંચવાની ખાંડી લઇ આવી ખેડૂતની દીકરીને બરડામાં અને તેમની પત્નિને માથાના ભાગે મારી હતી. આ સાથે ખેડૂતને અન્ય ત્રણ ઇસમોએ પકડી રાખી ગડદાપાટુનો માર માર્યો હતો. આ તરફ હોબાળો થતાં સ્થાનિકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. જોકે ઇસમોએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોઇ તમામ સામે સાંથલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના અજબપુરા ગામે ખેડૂત પર હુમલાની ઘટના સામે આવી છે. ગામના ખેડૂત મુકેશજી ભેમાજી ઠાકોરના ખેતરમાંથી કોઇએ લજકો વાઢી ગયેલ હોઇ સ્થાનિક મંજીબેનને આ બાબતે પુછતાં તેઓએ કોઇ જવાબ આપ્યો ન હતો. જોકે બીજા દિવસે કટોસણના દરબાર વનરાજસિંહ બાબુભા અને દરબાર ઇન્દુભા સહિત અન્ય ત્રણ ઇસમો મળી કુલ પાંચેક ઇસમો ખેડૂતના ઘરે આવી ગાળાગાળી કરવા લાગ્યા હતા. જે બાદમાં ખેડૂતે ગાળો બોલવાની ના પાડતાં ઇસમોએ ઘરની બાજુમાં પડેલ છાણ ખેંચવાની ખાંડી લઇ આવી જોરથી ખેડૂતની દીકરીને બરડાના ભાગે અને તેમની પત્નિને માથાના ભાગે મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે ઇસમો ખેડૂત પરિવાર પર તુટી પડતાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ ભારે હોબાળો થયા બાદ સ્થાનિકોએ ખેડૂત પરિવારને વધુ મારમાંથી છોડાવ્યો હતો. આ સાથે ઇસમોએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોઇ ખેડૂતે તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સાંથલ પોલીસે તમામ ઇસમો સામે આઇપીસી 323, 324, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.