નોટીસ@ખેડબ્રહ્મા: ગોડાઉન મેનેજરે દબાવ્યો જથ્થો, મામલતદાર થયા લાલઘૂમ
અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોડાઉન મેનેજરની લાલિયાવાડી સામે આવી છે. છેલ્લા બે સત્રથી બાળાઓનાં વાલીઓને વિના મુલ્યે આપવાનો અનાજનો જથ્થો દબાવી રાખતાં મામલતદારે વારંવાર નોટીસ ફટકારી છેવટે ખુલાસો કરવા આદેશ કર્યો છે. ઘઉં, ચોખા અને મકાઇનો જથ્થાની પરમીટ મળી હોવા છતાં પુરવઠાના ગોડાઉન મેનેજરે રોકી રાખ્યો છે. જેને લઇ મામલો ગંભીર બની ગયો છે.
ખેડબ્રહ્મા તાલુકાની પુરવઠા ગોડાઉન કચેરીના સત્તાધીશો બેદરકાર હોવા સાથે કૌભાંડની આશંકા ઉભી કરી રહયા છે. ખેડબ્રહ્મા મામલતદારની પુરવઠા શાખાએ પંથકની બાળાઓ માટે ચાલતી અન્ન ત્રિવેણી યોજના હેઠળ વર્ષ ર૦૧૭-૧૮ અને ર૦૧૮-૧૯ માટે પરમીટ મંજુર કરી હતી. જેની સામે પુરવઠા ગોડાઉન મેનેજરે હજુ સુધી અનાજનો જથ્થો બાળાઓના વાલીઓને વિતરણ કર્યો નથી.
તાત્કાલિક ધોરણે ઘઉં, ચોખા અને મકાઇનો જથ્થો વિતરણ કરી રીપોર્ટ કરવાની સુચના ગોડાઉન મેનેજર ઘોળીને પી ગયા હોઇ તેવુ સામે આવ્યુ છે. જેથી મામલતદારે લાલઆંખ કરી બે દિવસમાં આદિજાતિની બાળાઓ માટેનો અનાજનો જથ્થો વિતરણ કરી દેવા આદેશ કર્યો છે. જો તેમ કરવામાં નિષ્ફળ જશે તો કલેક્ટરને અહેવાલ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યુ છે.