કચેરી@તાપી: ભ્રષ્ટાચારનું આંખો ફાડે તેવું સ્વરૂપ, વિદ્યાર્થીઓ સાથે યુનિફોર્મ અને બુટમાં આચાર્યની ગદ્દારી

 
Tapi
વિદ્યાર્થીઓ કેવી રીતે યુનિફોર્મથી વંચિત રહ્યા તે સૌથી મોટો સવાલ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાઓ અને તેના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર તનતોડ મહેનત કરે છે પરંતુ અહિંની કચેરી, એજન્સી અને આચાર્યની ભયંકર બેદરકારીને કારણે એક અત્યંત ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. તમે આજસુધી ભ્રષ્ટાચારના અનેક રૂપ જોયા હશે પરંતુ બાળકો, વિદ્યાર્થીઓઓના કપડાં પણ ના મૂકે તેવો કિસ્સો જોયો છે ? જી, હા તાપી જિલ્લાની ત્રણેક જેટલી સરકારી આદીજાતી શાળામાં ભણતાં છોકરા અને છોકરીઓને સરકાર દ્વારા મળતાં યુનિફોર્મ અને બુટમાં આંખો પહોળી થઇ જાય તેવું ભયંકર કૌભાંડ સામે આવ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને આખું વર્ષ યુનિફોર્મ આપ્યા વગર પરિક્ષા બાદ ઘરે રવાના કરી દીધા છે. એટલે કે, સરકારે યુનિફોર્મ અને બુટના રૂપિયા ખર્ચ કર્યા પરંતુ મદદનીશ કમિશ્નર કચેરીની બેદરકારી અને આચાર્યની મથરાવટીથી વિદ્યાર્થીઓ આખું વર્ષ યુનિફોર્મ વગર રહ્યા છે. જાણીએ સ્પેશ્યલ રિપોર્ટ.

તાપી જિલ્લાના વ્યારા મથકે આદીજાતી વિકાસ વિભાગની મદદનીશ કમિશ્નર કચેરી આવેલી છે અને વિભાગ હેઠળની જ ત્રણ આદર્શ નિવાસી શાળાઓ સોનગઢ ખાતે આવેલી છે. ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓને સરકાર યુનિફોર્મ અને બુટ-મોજા આપે છે. આ માટે આવતી ગ્રાન્ટ હેઠળ મદદનીશ કમિશ્નર કચેરી ટેન્ડર કરી એજન્સી મારફતે શાળાઓમાં યુનિફોર્મ અને બુટ-મોજા પહોંચાડે પછી આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને મળે છે. જોકે સોનગઢ ખાતે આવેલી ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા શાળાના ધો.10ના સરેરાશ 100 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2024-25 દરમ્યાન યુનિફોર્મ અને બુટ-મોજા મળ્યા નથી. ભ્રષ્ટાચારે આમપણ હદ વટાવી દીધી છે પરંતુ વિદ્યાર્થીઓના કપડાં પણ નહિ મૂકવાના આ કેવું હ્રદય કહી શકાય આચાર્ય સાહેબનું. વાંચો નીચેના ફકરામાં કોની જવાબદારી અને શું કહ્યું વિદ્યાર્થીઓએ

ધોરણ 10ના વિદ્યાર્થીઓને યુનિફોર્મ નહિ આપી કપડાં પણ ઉઠાવી લેવાનો આ બેફામ ભ્રષ્ટાચાર કલ્પ્ના બહારનો છે. ત્યારે આ અંગે અમોએ કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં જણાવ્યું કે, ધોરણ 9 માં યુનિફોર્મ આપેલા પરંતુ ધોરણ 10 માં હજુસુધી મળેલ નથી અને બુટ મોજા પણ આપ્યા નથી. આથી એક શાળાના આચાર્ય મનિષભાઇને પૂછતાં જણાવ્યું કે, તમે શાળામાં આવજો ફોનમાં આવું ના કહેવાય. આ તરફ મદદનીશ કમિશ્નર કચેરીના ઇન્ચાર્જ ઓ.એસ નિરજભાઇને પુછ્યું તો જણાવ્યું કે, તપાસ રીપોર્ટ વડી કચેરીને આપી દીધો છે. તો સામે અમોએ એવું કહ્યું કે, યુનિફોર્મ આપ્યા હોય તો કમસેકમ હા પાડો તો રાજ્ય સરકારની યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર કરીએ, તો પણ નિરજભાઇએ કહ્યું કે, વડી કચેરીના સાહેબ પૂછી શકો. હવે આ કેવીરીતે બન્યું અને કોણ છે આચાર્ય એ પણ વાંચો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉચ્છલ, અને કુકરમુંડા શાળામાં આચાર્ય તરીકે કિશોરભાઇ સોંદરવા છે જ્યારે નિઝર શાળામાં આચાર્ય મનિષભાઇ છે ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પણ કેવીરીતે યુનિફોર્મથી વંચિત રહ્યા તે સૌથી મોટો સવાલ છે. જાણકારોના મતે, મદદનીશ કમિશ્નર કચેરીએ એજન્સી મારફતે શાળાઓમાં પહોંચાડી દીધા પછી આચાર્યની જવાબદારી આવે. જોકે આચાર્ય સાથે મદદનીશ કમિશ્નર કચેરી અને એજન્સીની પણ જવાબદારી શોધવી પડે. કેમ કે, દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં એજન્સી અને કચેરીના કર્મચારીઓની કથિત સંડોવણીથી કૌભાંડ થયાનો ગુનો દાખલ થયો છે. તો અહિં સોનગઢ ખાતેની ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓના હક્કના કપડાં અને બુટ-મોજા કોણે દબાવી દીધા. આ અંગે આગામી ન્યૂઝ રીપોર્ટમાં સૌથી મોટો ઘટસ્ફોટ જાણીશું.