આદેશ@ગુજરાત: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર સહિત તમામ અધિકારીઓના કામની તપાસ થશે

 
આદેશ

ફરજચૂક કરનાર અધિકારીઓને બક્ષવા નહીં તેવો પણ કોર્ટનો નિર્દેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ હુકમ સામે આવ્યો છે. તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી બાબતે તપાસનો આદેશ આપ્યો છે. કાયદા પ્રમાણેની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ તેમજ પોતાની ફરજ પ્રમાણે કામ ન કરનાર અધિકારીઓની તપાસ કરવા હુકમ કર્યો છે. તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરથી લઈને તમામ અધિકારીઓની તપાસના હુકમ આપ્યા છે.

હાઇકોર્ટે કહ્યું કે આ તપાસ તાજેતરમાં બનેલી દુર્ઘટનાઓ પૂરતી સીમિત રહેશે નહીં. ગેરકાયદેસર બાંધકામ, ફાયર સેફટી સહિતના મુદ્દે કાયદેસરની ફરજ નિભાવવામાં ચૂક કરનાર તમામ સામે કાર્યવાહી કરવા નિર્દેશ છે. આ સાથે મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું કે ઉચ્ચ પદ પર બેઠેલા અધિકારીઓની ફરજચૂકના કારણે જાહેર સ્થળો લોકો માટે અનસેફ બન્યા છે. આવી ફરજચૂક કરનાર અધિકારીઓને બક્ષવા નહીં તેવો પણ કોર્ટનો નિર્દેશ છે. રાજ્ય સરકારના સુપરવિઝનમાં યોગ્ય અને કડક તપાસ અને પગલાના હાઇકોર્ટે નર્દેશ કર્યા છે. સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને 4 જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ છે.