અતિવૃષ્ટિ@2017: પાટણ તંત્ર સામે ગંભીર સવાલો, મૃતકોની સહાય કેમ રોકી ?
અટલ સમાચાર,પાટણ
વર્ષ 2017માં ઉત્તર ગુજરાતને વિનાશક પુરે ઘમરોળ્યા બાદ બે વર્ષે ફરી એકવાર મૃતકોની સહાયનો પ્રશ્ન ઉભો થયો છે. પાટણ જીલ્લા વહીવટીતંત્ર સમક્ષ રાધનપુરથી છ મૃતકોની સહાય અધ્ધરતાલ રાખતા રજૂઆત આવી છે. જે તે વખતે જીલ્લા કમિટિએ સહાય પેન્ડીંગ કર્યા બાદ કયા કારણોસર મૃતકોના પરિવારજનોને પુર અસરગ્રસ્તની સહાય નથી અપાઇ ? તે સહિતના સવાલોના જવાબ આપવા કલેક્ટર સમક્ષ માંગ કરાઇ છે.
અતિવૃષ્ટિથી રાધનપુર અને સાંતલપુર તાલુકો અસરગ્રસ્ત બન્યો હોઇ અનેક વ્યકિતઓ અને ઢોરના મોત નિપજયા હતા. આ દરમ્યાન રાજય સરકાર ઘ્વારા પાટણ જીલ્લા વહીવટીતંત્રને જાનમાલની હાનિ સામે સહાય પેટે ગ્રાન્ટ અપાઇ હતી. જેમાં રાધનપુર તાલુકાના અમીરપુરા, કમાલપુર, ધોળકડા અને દેલાણાના છ મૃતકોના પરિવારજનો સહાયથી વંચિત રહયા હતા. જેની રજૂઆત બાદ મામલો જીલ્લા કક્ષાએ પેન્ડીંગ રહયો હતો.
સમગ્ર મામલે પાટણ જીલ્લા વહીવટીતંત્ર ઘ્વારા સહાય બાબતે પરિવારજનોને કારણો નહી જણાવાતા મુશ્કેલી ઉભી થઇ છે. આથી રાધનપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશ ઠાકોરે કલેક્ટરને પત્ર લખી સહાય નકારવાના કારણો જણાવવા માંગ કરી છે. જેથી કારણોને અંતે પરિવારજનો રાજય સરકારમાં આગળની કાર્યવાહી કરી શકે.
અતિવૃષ્ટિના કમનસીબો
ઠાકોર ભાવસંગભાઇ અમથુભાઇ – ધોળકડા ઉ.વ. 17
ઠાકોર મહેશભાઇ રામાભા – ધોળકડા ઉ.વ. 17
નિરાશ્રિત ઠાકોર ભાવસંગભાઇ ખેમાભાઇ – કમાલપુર ઉ.વ. 35
ઠાકોર હેમચંદભાઇ વેરસીભાઇ – અમીરપુરા ઉ.વ.45
રાઠોડ રાજેન્દ્રભાઈ ઉદેસિંહ – દેલાણા ઉ.વ. 17
રાઠોડ બહાદુરસિંહ દાનુભા – દેલાણા ઉ.વ. 17