પાટીદારોના ગઢ સમાન મહેસાણા બેઠકથી ચૂંટણી લડવા હાર્દિકને મનાઈ !
અટલ સમાચાર, ગિરીશ જોશી
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા બધા ટૂંક સમયમાં પ્રચાર સાથે ઉમેદવારી ફોર્મ ભરશે. હાલની સ્થિતિએ હાર્દિકને જામનગર બેઠક આપવાની વાત ચાલી રહી છે. જોકે પાટીદાર આંદોલનના કેન્દ્રબિંદુ અને પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી મહેસાણા લોકસભા બેઠક માટે આગેવાનો દ્વારા મનાઇ કરવામાં આવી છે.
મહેસાણા લોકસભા બેઠક ઉપર પાટીદારો અને ઠાકોર મતદારોનો પ્રભાવ છે. બન્ને સમાજના આંદોલનકારી નેતાઓ પાર્ટીમાં હોવાથી કોંગ્રેસને જીત આસાન લાગી રહી છે. કોંગ્રેસ મોટેભાગે પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતારે તેવી પ્રબળ સંભાવના છે. જો હાર્દિક પટેલને મહેસાણાની ટિકિટ મળે તો સરળતાથી જીતી જાય તેવું માનવું ભૂલ ભરેલું છે.
પાટીદાર અનામત આંદોલનના આગેવાનો હાર્દિક પટેલને મહેસાણા બેઠક માટે એટલા માટે મનાઈ કરી કે અંદરથી બગાવત થઈ શકે છે. હાર્દિકને શરૂઆતથી જ સ્થાનિક પાટીદાર આગેવાન સાથે ઠંડા યુદ્ધ જેવી સ્થિતિ હોવાથી હરાવવા દાવપેચ થવાની પાસ આગેવાનોને બીક છે.
સંભવતઃ હાર્દિક પટેલ મહેસાણાથી જીતે તો પણ જોઈએ તેવી સરસાઈ મળવી અત્યંત મુશ્કેલ હોવાથી પાસના સ્થાનિક આગેવાનો અન્ય બેઠકથી ચૂંટણી લડાવવા આગ્રહ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉત્તર ગુજરાતમાં હાર્દિક પટેલ ઉમેદવાર બને તેવી સંભાવના નહિવત્ છે.