દર્દનાક@મોરબી: ટ્રક, ટેન્કર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, બે વિદ્યાર્થી સહિત ચાર જીવતા ભૂંજાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છ-મોરબી હાઈવે પર માળિયામિયાણા પાસે સૂરજબારી ટોલનાકા પાસે ગત રાત્રે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ટ્રક, ટેન્કર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગ ફાટી નીકળી હતી. જેમાં ચાર વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયા હતા. જ્યારે પાંચથી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મોરબીના માળિયામિયાણામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વિદ્યાર્થીના મોત થયા છે. અકસ્માતમાં ટ્રક, ટેન્કર અને અર્ટિગા કાર અથડાઈ હતી.
મૃતકોમાં ટ્રક ડ્રાઇવર અને ક્લિનર સહિત કારમાં સવાર બે વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.કારમાં સવાર પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. તમામ ઈજાગ્રસ્તોની સામખિયાળી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. અર્ટિગા કારમાં સવાર જૂનાગઢ આહિર બોર્ડિંગમાં રહેતા 7 વિદ્યાર્થીઓ તહેવાર પર પોતાના વતન કચ્છ જતા હતા. ત્યારે ઘરે પહોંચે એ પહેલા જ બે વિદ્યાર્થીને કાળ ભરખી ગયો છે. સુરજબારી ટોલનાકા પાસે પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતી ટ્રકે લેન બદલવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન પાછળ આવતી કાર ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં ભયાનક આગ લાગી હતી. ટ્રકમાં અને કારમાં સવાર 2-2 લોકો મોત થયા છે.
આ સિવાય, સાત લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સામખિયાળી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.ઘટનાની જાણ થતા મોરબી અને ભચાઉ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી, અને ઘટના સ્થળે બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી હતી. પોલીસ અકસ્માતના કારણો જાણવા કરવા માટે તપાસ કરી રહી છે.