ખળભળાટ@પાલનપુર: માલવાહક ટ્રકને ભયાનક એક્સિડન્ટ, એકસાથે 38 ઘેટાં બકરાંના મોત
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
પાલનપુર- અમદાવાદ હાઇવે પર ગતરાત્રે એક્સિડન્ટ થયો હોવાનું સામે આવ્યું છે. માલવાહક ટ્રક પુરપાટ ઝડપે જતાં દરમ્યાન અચાનક અકસ્માતનો ભેટો થતાં હાઇવે પર પલટાઇ ગઈ હતી. આ દરમ્યાન ટ્રકમાં ભરેલા 200થી વધુ ઘેટાં બકરાંને અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ છે. એક્સિડન્ટ થતાં એકસાથે 38 ઘેટાં બકરાંના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. મોટી સંખ્યામાં અબોલ ઘેટાં બકરાં રાત્રે મોતને ભેટ્યાંની ઘટના બહાર આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને પગલે પાલનપુર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ પશુ અત્યાચાર પ્રતિબંધ અધિનિયમ અને મોટર વાહન અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકા પોલીસને ગતરાત્રે 10:30 વાગ્યે વિગત મળી હતી કે, હાઇવે પર ટ્રકને અકસ્માત થતાં મોટીસંખ્યામાં પશુના મોત નિપજ્યા છે. આથી રાત્રે પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચતાં ચોંકાવનારા દ્રશ્યો જોઇ હરકતમાં આવ્યા હતા. ટ્રકમાં ખીચોખીચ 200થી વધુ ઘેટાં બકરાં ભરેલા હતા ત્યારે અકસ્માતમાં એકસાથે 38 ના મોત થયા હતા. ટ્રક કોઈ કારણસર હાઇવે પર પલટાઇ ગઈ હતી તેથી બકરાં 14 અને ઘેટાં 24 મોતને ભેટ્યાં હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળ છોડી ફરાર થઇ ગયો હતો. આ તરફ પાલનપુર તાલુકા પોલીસે ટ્રક નંબર આધારે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રક મોડી રાત્રે પાલનપુર તાલુકા વિસ્તારમાંથી પસાર થઇ સંભવતઃ અમદાવાદ હાઇવે તરફ જતી હતી. જેમાં ટ્રક ચાલક અને તે સંબંધિતોએ ટ્રકમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કર્યા વિના પોતાનો હેતુ પાર પાડવા મથામણમાં હતા.
આ દરમ્યાન ટ્રક મૂળ સ્થાને પહોંચે તે પહેલાં અચાનક પાલનપુર અમદાવાદ હાઇવે પર પલટાઇ ગઈ હતી. જેના કારણે કુલ 38 ઘેટાં બકરાંના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અબોલ ઘેટાં બકરાંના મોટીસંખ્યામાં મોત થતાં જીવદયા પ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.