પંચાયત@બેચરાજી: 3 સરપંચોના એકસાથે રાજીનામા,ડે.સરપંચોને ચાર્જ અપાયો
અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)
મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજીની તાલુકા પંચાયતમાં આજે એક સાથે ત્રણ સરપંચોનું રાજીનામુ મંજુર કરવામાં આવ્યુ હતુ. બેચરાજી તાલુકાના ધારપુર(ખાંટ), મંડાલી અને ચડાસણાના સરપંચોએ સ્વેચ્છાએ રાજીનામુ આપી દીધા છે. સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારીએ તેમનું રાજીનામું મંજુર કરી તેમની જગ્યાએ ડેપ્યુટી સરપંચને ચાર્જ આપવાનુ નકકી કર્યુ છે.
બેચરાજી તાલુકાના ત્રણ સરપંચોએ એકસાથે સ્વેચ્છાએ રાજીનામુ આપી દીધાના સમાચાર સામે આવી રહયા છે. સુત્રો તરફથી મળતી માહિતિ મુજબ ધારપુર(ખાંટ)ના સરપંચ કલ્યાણસિંહ પથુજી દરબાર, મંડાલીના સરપંચ તખીબેન ધીરાધાઇ દેસાઇ અને ચડાસણાના સરપંચ રાવળ સજ્જનબેન રમેશભાઈએ અચાનક મંગળવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.
મંગળવારે મળેલી બેચરાજી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ત્રણેય સરપંચોના રાજીનામા મંજુર કરી તાલુકા વિકાસ અધિકારીએ ત્રણેય ગામના ડેપ્યુટી સરપંચોને ચાર્જ લેવા હુકમ કર્યો છે.
સરપંચોએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, ડે.સરપંચોને ચાર્જ સોંપાયો છે: TDO
સમગ્ર બાબતે બેચરાજી તાલુકા વિકાસ અધિકારી વિષ્ણુભાઇ મિસ્ત્રીએ જણાવ્યુ હતુ કે, ધારપુર(ખાંટ)ના સરપંચ કલ્યાણસિંહ પથુજી દરબાર, મંડાલીના સરપંચ તખીબેન ધીરાધાઇ દેસાઇ અને ચડાસણાના સરપંચ રાવળ સજ્જનબેન રમેશભાઈએ સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું છે. તેમની જગ્યાએ ડેપ્યુટી.સરપંચોને ચાર્જ માટે હુકમ કરી દેવાયો છે. હવે આગામી સમયમાં ખાલી પડેલી સરપંચોની જગ્યા માટે સરકાર જાહેરનામુ બહાર પાડશે ત્યારે માત્ર સરપંચની ચુંટણી યોજાશે.