ખળભળાટ@રાજસ્થાન: જયપુરમાં ભોંયરામાં વરસાદનું પાણી ભરાઈ જતાં 3 લોકોના મોતથી હડકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જયપુરમાં છેલ્લા કેટલાક કલાકથી ચાલુ વરસાદના કારણે તબાહી સર્જાઈ છે. શહેરના રસ્તાઓ, ઍરપૉર્ટ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન અને હૉસ્પિટલ સહિત દરેક બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે જયપુરમાં દિલ્હી જેવી દુર્ઘટના સર્જાઈ છે. વિશ્વકર્મા વિસ્તારમાં બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાતાં ત્રણ લોકોના મોત થયા છે. સૂચના મળ્યા બાદ વહીવટી તંત્ર પાણી નીકાળવાના પ્રયાસમાં જોતરાયું છે.
જયપુરમાં સિઝનના પ્રથમ વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાયા છે. અગાઉ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર સ્થિત કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. તેવી જ રીતે જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં એક બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ હજી થઈ શકી નથી. પાણી બહાર કાઢ્યા બાદ મૃતકોની ઓળખ કરવામાં આવશે. દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર સ્થિત RAU'S IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં બનેલી લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. તે સમયે મુશળધાર વરસાદ વરસતાં કોચિંગ સેન્ટરની બહાર ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તે દરમિયાન બેઝમેન્ટમાં અચાનક 2-3 મિનિટમાં જ 3 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા.