પર્દાફાશ@દાહોદ: ખેતીની જમીનને બિનખેતી કરીને વેચવાનું મસમોટું જમીન કૌભાંડ!

 
સ્કેમ

મામલતદાર, એસડીએમ અને કલેકટર સામે હાઇકોર્ટે લાલ આંખ કરી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના દાહોદ જિલ્લામાં મસમોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. ખેતીલાયક જમીનને બિનખેતીની કરીને સરકારી વેબસાઈટ પર જ સોદો કરવામાં આવતો હતો. ખેડૂત ન હોય તેવી વ્યક્તિ એટલે કે, બિનખેડૂત વ્યક્તિએ ખરીદી લીધી હતી ખેતીલાયક જમીન. આ જમીન તે વ્યક્તિને બિનખેતી કરીને આપવામાં આવી હતી, સત્તાવાર રીતે આ જમીન ખેતીલાયક હતી. જેથી નિયમાનુસાર ખેતીલાયક જમીન ખેડૂત ખાતેદાર સિવાય કોઈપણ વ્યક્તિ ખરીદી શકે નહીં.તો સરકારી વેબસાઈટ પર કઈ રીતે કરવામાં આવ્યો આવી જમીનનો સોદો? કોની રહેમનજર હેઠળ ચાલે છે આ કૌભાંડ? મામલતદાર, એસડીએમ અને કલેક્ટર બધા ભરાયા.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું જો સરકારી કચેરીમાંથી કંઈ ખોટું થયું હોવાનું સામે આવશે તો કલેક્ટરની નોકરી જશે.ગુજરાતના દાહોદ જિલ્લામાં ખેતીની જમીન મેળવવા બદલ નોટિસ ફટકારનારા મામલતદાર, એસડીએમ અને કલેકટર સામે હાઇકોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટે કહ્યું હતું કે, તમારી જ ઓફિસમાંથી ખોટું થયુ છે તો તમારા અધિકારીઓ સામે શું પગલા લીધા? સરકારના મહેસુલ વિભાગના પોર્ટલ પર જે જમીન બિનખેતી લાયક હોવાનું સ્ટેટસ હોય તે ખરીદનાર સામે તમે કેવી રીતે પગલા લઈ શકો? આ કોઇ ભૂલ નથી મોટું કૌભાંડ છે.

સરકારને ખુલાસો કરવા આદેશ કર્યો છે જો રેકોર્ડ નહી રજૂ કરી શકે તો તમારા અધિકારીની નોકરી જશે. દાહોદમાં રહેતા સુરેશચન્દ્ર શેઠ સામે મામલતદારે ખેડુત નહી હોવા છતા ખેતીલાયક જમીન ખરીદવા મામલે નોટિસ પાઠવી હતી. તેમના વતી એડવોકેટ ઉત્કર્ષ દવેએ એવી રજુઆત કરી હતી કે, મામલતદારે આપેલી નોટિસ ગેરકાયદે અને ગેરબંધારણીય છે.સરકારે આજે પોતે સ્વીકાર્યુ હતુ કે આ નોટિસ ખોટી છે આવી નોટિસ આપી શકાય નહીં. મહેસુલ વિભાગમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તે સાબિત થયું છે.