પાટણ જીલ્લા પંચાયતમાં નવા-જુનીનાં એંધાણ: અનેક સભ્યો ભયંકર ટેન્શનમાં
અટલ સમાચાર,ગીરીશ જોશી
પાટણ જીલ્લા પંચાયતમાં આગામી પાંચેક દિવસમાં નવા-જુની થવાના એંધાણ છે. ૪ ફેબ્રુઆરીએ કોંગી બળવાખોરોના કેસની મુદત હોવાથી ચુકાદો આવે તેવી સંભાવના છે. બીજી તરફ કેટલાક સદસ્યોએ આખરે અવિશ્વાસની દરખાસ્ત કરવા મથામણ આદરી છે. આ તમામ ગતિવિધિ વચ્ચે સત્તાધીશોની ઉંઘ હરામ થઇ જવા સાથે રાજકીય ટેન્શનમાં ચાલી રહયા હોવાનું સામે આવ્યું છે.
પાટણ જીલ્લા પંચાયતમાં બળવાખોરોથી ભાજપે સત્તા કબજે કર્યા બાદ સત્તાધીશોને શાંતિથી શાસન કરવાનો અનુભવ વિપક્ષ કરવા દેતો નથી. બળવાખોરો વિરૂધ્ધ દાખલ કરેલી પક્ષપલટાના ફરીયાદની વારંવારની મુદતોને અંતે આગામી ૪ ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટે સમગ્ર કેસ છ મહિનામાં પુર્ણ કરવા આદેશ કરેલો હોવાથી ૪ ફેબ્રુઆરીએ નિર્ણય આવે તેવી પ્રબળ સંભાવના છે.
આ તરફ કેટલાક સદસ્યોએ લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ જો ચુકાદો ન આવે તો પ્રમુખ સહિતના સત્તાધિશો વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા તૈયારી કરી છે. આવા સંજોગોમાં ભાજપ અને કોંગી બળવાખોરોની સત્તા હેઠળ ચાલતી પાટણ જીલ્લા પંચાયતમાં કેસની તારીખ નજીક આવતા ભાગદોડ શરૂ થઇ છે. આગામી લોકસભા ચૂંટણી અને કેસના ચુકાદાના વિવિધ વિકલ્પો જોતા જીલ્લા પંચાયતમાં રાજકીય ઘમાસાણ ઉગ્ર બને તેવી સંભાવના છે.