પાટણઃ શાળા સલામતી કાર્યક્રમ પરત્વે ખાનગી શાળાઓના શિક્ષકો-બાળકોને ડિઝાસ્ટર તાલીમ આપવામાં આવી

અટલ સમાચાર, પાટણ
શાળાઓમાં બાળકોને સંભવિત આપત્તિ તથા જોખમો અને તેની સામે દ્વારા સુરક્ષિત જીવન માટે સજ્જ બને તે માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ પરત્વે ખાનગી શાળાઓ માટે બી.આર.સી ભવન, પાટણ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ આપત્તિઓ સામે આપણે આપણા પરંપરાગત અને સ્થાનિક આવડત, જ્ઞાનનો ઉપયોગ કરી સજ્જતા અને સલામતી માટેના કૌશલ્ય વિકસાવવા માટે આપત્તિ સામે પૂર્વ તૈયારી અને સજ્જતાના અભિગમને ધ્યાને રાખી બાળકોને વિવિધ આપત્તિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગેની સમજ કેળવાય તેવા પ્રયાસો હાથ ધરવા આ ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભુકંપ, પૂર, વાવાઝોડું, આગ, અકસ્માત, રાસાયણિક દુર્ઘટનાઓ વગેરે જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓને સંપૂર્ણ રીતે અટકાવી શકતા નથી, પરંતુ થોડીક કાળજી અને સજાગતાથી જાન-માલહાનીમાં ઘટાડો ચોક્કસ કરી શકીએ છીએ. ભૂતકાળમાં કચ્છના વિનાશક ભૂકંપ, કંડલાનું વાવાઝોડું, મચ્છુ ડેમનું પુર, સુરતનો પ્લેગ વગેરે માનવ જનજીવનને વેરવિખેર કર્યું હોવાના આપણે સાક્ષી રહ્યા છીએ. કુદરતી-માનવ સર્જિત આફતો દરવાજે ટકોરા મારીને આવતી નથી ત્યારે આપણે તમામ આપત્તિઓ સામે સતર્કતા, સજ્જતા દાખવીએ તે
જરૂરી છે.
તાલીમમાં સલામતી વિશે રાખવાની તકેદારી અને તૈયારીની જાણકારી મામલતદાર હિતેશ રાવલ, ડીપીઓ જી.એસ.ડી.એમ.એ., તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને 108, અગ્નિશામક ટીમો, રેડક્રોસ જેવી એજન્સી દ્વારા આપી કાર્યક્રમને સફળ બનાવેલ છે.