પાલનપુરમાં મુખ્યમંત્રી રૂપાણીએ તિરંગા યુવા રેલીને પ્રસ્થાન કરાવ્યુ
અટલ સમાચાર,પાલનપુર
બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુર ખાતે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉપલક્ષ્યિમાં યોજાયેલ યુવા તિરંગા રેલીને મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણી પાટનગર ગાંધીનગરના બદલે રાજયના વિવિધ જિલ્લાઓમાં ઉજવવાની પરંપરાને આગળ ધપાવતાં મુખ્યમંત્રીએ પાલનપુરના એરોમા સર્કલથી વિધામંદિર સંકુલ સુધી યોજાયેલી બાઇક રેલીમાં સહભાગી બની યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આઇ એમ એ ન્યૂ ઇન્ડિયા (હું નવું ભારત છું) ની ટી-શર્ટ પહેરેલાં યુવા યુવતીઓનાં ભારત માતા કી જય… અને વંદે માતરમ….નાં જય ઘોષથી વાતાવરણમાં દેશભક્તિનાં અનેરા રંગો રેલાયાં હતાં.
આ રેલીનાં પ્રસ્થાન સમયે કેન્દ્રીય ખાણ અને ખનીજ રાજય મંત્રી હરીભાઇ ચૌધરી, પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યો શશીકાંતભાઇ પંડ્યા અને કીર્તિસિંહ વાઘેલા, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, યુવા ભાજપાના પ્રમુખ ઋત્વીજ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ઠાકોર, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, અગ્રણીઓ હિતેષભાઇ ચૌધરી, હરેશભાઇ ચૌધરી, અમૃતભાઇ દવે, ભારતસિંહ ભટેસરીયા, જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકી, જિલ્લા કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહ, પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતાં