રાજકારણ@દેશ: સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર, 'વક્ફ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ વક્ફ સુધારા બિલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બિલ અને તેને પાસ કરાવવામાં સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી ઉતાવળની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસ સંસદીય દળની જનરલ બોડીની બેઠકમાં તેમણે કહ્યું, 'ગઈકાલે વક્ફ સુધારા બિલ, 2024 લોકસભામાં પસાર થઈ ગયું હતું અને આજે તે રાજ્યસભામાં રજૂ થવાનું છે. આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું હતું. અમારી પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. આ બિલ બંધારણ પર હુમલો છે.
આ આપણા સમાજને કાયમી ધોરણે ધ્રુવીકરણ રાખવાની ભાજપની ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો એક ભાગ છે. 'કોંગ્રેસ સંસદીય સમિતિને સંબોધિત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું છે, કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દેશને રસાતળ તરફ લઈ જઈ રહી છે. જો આવું જ ચાલતું રહ્યું તો બંધારણ માત્ર કાગળના ટુકડા સમાન બની જશે. આમનો ઈરાદો જ બંધારણને ધ્વસ્ત કરવાનો છે. ભાજપે બુલડોઝરથી બિલ પસાર કરાવ્યું છે. આ બિલ બંધારણ પર હુમલો છે અને આનાથી સમાજમાં સ્થાઈ ધ્રુવીકરણ વધશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, 'વિપક્ષી સાંસદોને પોતાની વાત કહેવાનો અવસર નથી મળી રહ્યો જે લોકશાહી માટે ચિંતાનો વિષય છેઃ. રાજ્યસભામાં વિપક્ષ નેતા ખડગેને પણ પોતાની વાત કહેવાનો અધિકાર નથી. સત્તા પક્ષના સાંસદોના કારણે જ ગૃહની કાર્યવાહી થઈ શકતી નથી, જે ચોંકાવનારું છે. કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ દ્વારા રજુ કરાયું હતુ અને ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં પસાર થયું હતું અને આજે ગુરૂવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારને રાજ્યસભામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. NDAમાં સામેલ JDU, TDP, શિવસેના અને NCPને સમર્થન મળશે.બુધવારે લોકસભામાં બિલ રજૂ થયા બાદ, ગુરુવારે રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીના આંકડાઓ અનુસાર, NDA ને લોકસભામાં 296 સાંસદોનું સમર્થન છે.