રાજકારણ@દેશ: પેટાચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના નેતાઓએ કર્યો મોટો દાવો, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાંથી 11 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. લોકસભા ચૂંટણી બાદ ફરી એક વખત NDA vs I.N.D.I.A ગઠબંધનની લડાઈ જોવા મળી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા પવન ખેડાએ દાવો કર્યો કે, આ એક એવો ટ્રેન્ડ છે જે લોકસભા ચૂંટણીથી શરૂ થયો અને હવે આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભાજપ આવનાર તમામ ચૂંટણી હારતી રહેશે. અમારા માટે આ ટ્રેન્ડ 2014માં શરૂ થયો હતો. આ તો બસ શરૂઆત છે.
કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, 2014 બાદથી અમે અનેક ચૂંટણી હાર્યા અને હવે ભાજપ પણ એવા જ સમયમાંથી પસાર થશે. 13 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાંથી 11 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જ્યાં આ વખતે I.N.D.I.A ગઠબંધન NDA પર ભારે પડ્યું છે અને વિપક્ષી ગઠબંધને 10 બેઠકો પર કબજો જમાવ્યો છે.ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ વલણો પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ત્રણ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે બે અને ભાજપે એક બેઠક પર જીત હાંસલ કરી છે.
આ બેઠકો પર પેટાચૂંટણીની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કારણ કે 27 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં 3 અપક્ષ ધારાસભ્યો હોશિયાર સિંહ, આશિષ શર્મા અને કેએલ ઠાકુર એ ભાજપના પક્ષમાં મતદાન કર્યું હતું. આ ધારાસભ્યોએ 22 માર્ચના રોજ રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું અને બીજા દિવસે ભાજપમાં સામેલ થઈ ગયા હતા.