રાજકારણ@ગુજરાત: BJP પ્રમુખ પાટીલ અત્યારે નહીં બદલાય, કયા કારણે લેવાયો નિર્ણય? જાણો
પ્રમુખ સી.આર.પાટીલને ડિસેમ્બર સુધી યથાવત્ રખાશે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચૂંટણી પછી ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થતાં ભાજપના પ્રદેશ નેતાઓનું બ્લડપ્રેશર વધી ગયું છે. આગામી સ્થાનિક ચૂંટણીમાં ધબડકો ન થાય તે માટે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. આ સંજોગોમાં અટકળો ચાલી રહી છે કે પાર્ટીનું દિલ્હી સ્થિત હાઈકમાન્ડ ગુજરાતના સંગઠન માળખામાં હાલ કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. હોદ્દો છોડવાની ઇચ્છા પ્રદર્શિત કરી ચૂકેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ડિસેમ્બર સુધી યથાવત્ રખાશે. કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી.
જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યું છે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી, પ્રદેશ અને જિલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે એવો સંકેત મળ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રદેશ પ્રમુખની વરણી થવાની સંભાવના ઓછી જણાય છે. રાજ્યમાં 75 પાલિકા, 17 તાલુકા પંચાયત બે જિલ્લા પંચાયત અને 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ત્રણેક મહિનામાં યોજાઈ શકે છે.
હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.ભાજપનું સંગઠન એક્શનમાં આવ્યું છે. સી.આર. પાટીના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ બરતરફ કરવામાં આવ્યા છે. તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંગઠનના સહપ્રભારમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે, બીજી તરફ ખાલી પડેલા પદો પર અન્યને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે.