રાજકારણ@ગુજરાત: વાવ-થરાદમાં કોંગ્રેસ વેરવિખેર, 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વાવ- થરાદ પંથકના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. ભાભર તાલુકા અને શહેરમાં કોંગ્રેસના પાયાના કાર્યકરો અને પૂર્વ પ્રમુખોએ ‘હાથ’નો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ભાભર શહેર અને તાલુકા ભાજપની મહત્વની બેઠક દરમિયાન આ જોડાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં ભળ્યા છે. જેમાં ભાભર શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ હુકમસિહ રાઠોડ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વશરમજી ઠાકોર ભાજપમાં જોડાયા છે.
આ બંને અનુભવી નેતાઓએ પોતાના100 થી વધુ સક્રિય કાર્યકરો સાથે કેસરીયો ધારણ કર્યો છે.રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોર દ્વારા આ તમામ નવા સભ્યોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભાજપની વિકાસલક્ષી નીતિઓમાં વિશ્વાસ મૂકીને આ કાર્યકરો જોડાયા છે, જે આગામી ચૂંટણીઓમાં પક્ષને વધુ મજબૂત બનાવશે.ચૂંટણીઓ જ્યારે નજીક છે ત્યારે જ પાયાના કાર્યકરોનું આ રીતે પક્ષ છોડવું એ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે.

